MONEY9: 2021માં દરરોજ આવતાં IPO, 2022માં ક્યાં ખોવાઇ ગયા? IPO માર્કેટને લાગી કોની નજર?

|

Mar 31, 2022 | 6:53 PM

શેરબજાર માટે 2021નું વર્ષ જાણે કે, IPOનું વર્ષ બની રહ્યું હતું. દર અઠવાડિયે એક કે બે કંપનીનો IPO આવતો હતો. 2021માં કુલ 65 કંપનીએ IPO દ્વારા 1.29 લાખ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. હવે IPO માર્કેટમાં જાણે કે મંદી આવી ગઇ છે.

શેરબજારમાં ગયા વર્ષે IPOનું ધસમસતું પૂર આવ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે દુકાળ જેવી હાલત થઈ ગઈ છે. ગયા વર્ષે સરેરાશ પાંચથી છ દિવસમાં કોઈ ને કોઈ નવો IPO માર્કેટ (IPO MARKET)માં આવી જતો હતો અને પ્રાઈમરી માર્કેટ (PRIMARY MARKET)ના ખેલાડીઓને દાવ લગાવવાની તક મળતી હતી. પરંતુ ચાલુ વર્ષ શરૂ થયું, તેને 3 મહિના વીતી ગયા છે અને માત્ર 4 કંપનીએ જ IPO રૂટ દ્વારા શેરબજાર (STOCK MARKET)માં એન્ટ્રી લીધી છે. 2021માં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન, કુલ 16 કંપનીએ IPO દ્વારા શેરબજારમાં લિસ્ટિંગ કરાવ્યું અને 15 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ પૈસા ભેગા કર્યા હતા.. તેની સરખામણીએ આ વર્ષે નવા IPOમાં 75 ટકા ઘટાડો થયો છે અને એકત્રિત થયેલું ફંડ પણ 57 ટકા ઘટીને માત્ર 6,707 કરોડ રૂપિયા થઈ ગયું છે.

IPO માર્કેટને લાગી કોની નજર

તો, આખરે એવું શું થયું કે, IPO માર્કેટમાં આટલી બધી મંદી આવી ગઈ? બજારના નિષ્ણાતો તેના માટે અનેક પરિબળ જવાબદાર હોવાનું જણાવે છે. એક બાજુ વ્યાજના દર વધી રહ્યાં છે, ઓછામાં પૂરું કાચું તેલ અને કોમોડિટીની મોંઘવારી શેરબજાર પર હાવી થઈ રહી છે… રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે અને થોડી ઘણી કસર બાકી હતી, તો તે ચીનમાં આવેલી કોરોનાની નવી લેહેર પૂરી કરી નાખી છે. આમ, આ તમામ કારણોસર શેરબજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે અને તેના લીધે કંપનીઓ, અત્યારે બજારમાં લિસ્ટિંગ કરાવવાનું ટાળી રહી છે. LICના IPOમાં વિલંબ થવાથી પણ IPO માર્કેટમાં સન્નાટો ફેલાયો છે. LICનો IPO જ્યાં સુધી ન આવી જાય ત્યાં સુધી અન્ય કંપનીઓના IPO પર બ્રેક મારવાની સૂચના, સેબીએ જ મર્ચન્ટ બેન્કર્સને આપી હતી.

શું છે નિષ્ણાતની સલાહ

હવે, જે કંપનીઓ IPOની તૈયારીમાં લાગેલી છે, તેમને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ થોડો સમય રાહ જોવાની સલાહ આપી રહ્યાં છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડા પ્રમાણે, લગભગ 10 કંપનીઓ શેરબજારમાં IPO દ્વારા 98,000 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારીમાં હતી, પરંતુ આમાંથી ઘણી કંપનીએ IPOની યોજના પાછી ઠેલી દીધી છે અથવા તો IPOનું કદ નાનું કરવાનો નિર્ણય લીધો છે. આમ, જ્યાં સુધી અનિશ્ચિતતાના વાદળો દૂર નહીં થાય ત્યાં સુધી, IPO માર્કેટમાં ફેલાયેલું મંદીનું અંધારું દૂર થવાની અને તેજીનો જગમગાટ દેખાવાની શક્યતા નથી.

આ પણ જુઓ

કડક નિયમો, ઊંચા ટેક્સથી ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ શાંત

આ પણ જુઓ

Toll Tax વધી જશે? સરકાર Toll Booth વધારીને શું કરવા માંગે છે?

Next Video