જો તમે PAN CARD ધારક છો અને તમને વારંવાર નાણાકીય વ્યવહારોમાં તેની જરૂર પડે છે તો સરકાર આગામી બજેટમાં તમને મોટી રાહત આપી શકે છે. બજેટ 2023-24 માં કેન્દ્ર સરકાર કેટલાક નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડની જરૂરિયાતને ખતમ કરી શકે છે. જો આધાર કાર્ડ પહેલાથી જ હોય તો નાણાકીય લેવડદેવડમાં પાન કાર્ડની જરૂરિયાત દૂર થઈ શકે છે. બેંકોએ આ સૂચન સરકારને આપ્યું છે. આ નાણાકીય સંસ્થાઓનું કહેવું છે કે ખાતાઓ આધાર સાથે જોડાયેલા હોવાથી PANની જરૂર નથી. વાસ્તવમાં આ પગલાનો હેતુ નાણાકીય સંસ્થાઓ અને બેંકોની માંગ મુજબ નિયમોને સરળ બનાવવાનો છે.
આ બાબતથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારને આ સંબંધમાં દરખાસ્તો મળી છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જો નાણાકીય વ્યવહાર દરમિયાન પાન કાર્ડ આપવામાં ન આવે તો આવકવેરા કાયદાની કલમ 206AA મુજબ ટ્રાન્ઝેક્શન પર 20 ટકા સુધી ટેક્સ વસૂલવાની જોગવાઈ છે. અધિકારીએ કહ્યું કે કેટલાક બેંક ગ્રાહકોએ આવકવેરા કાયદામાં સુધારો કરવાનું સૂચન કર્યું છે કારણ કે બેંકો તરફથી લોનને લઈને પણ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પાનકાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર હાલમાં સંશોધન હેઠળ છે. બજેટમાં આ અંગે ખુલાસો થઇ શકે છે.
કેટલીક બેંકો વર્તમાન વ્યવસ્થાને કારણે બિનજરૂરી મૂંઝવણને ટાળવા માટે આવકવેરા કાયદામાં સુધારો કરવા માંગે છે. આ બાબતે સંભવિત સ્પષ્ટતા આર્થિક મર્યાદા નક્કી કરી શકે છે જેની નીચે પાન કાર્ડની આવશ્યકતા ફરજીયાત નહીં હોય.
બેંકમાંથી પૈસાની લેવડદેવડ દરમિયાન કેટલીક સમસ્યાઓ સામે આવી હતી અને છેતરપિંડી અને કરચોરીને રોકવા માટે પાન કાર્ડ લાગુ કરવામાં આવ્યું હતું. તેથી, જો કોઈ ગ્રાહક મોટી રકમનો વ્યવહાર કરે છે તો પાન કાર્ડ જરૂરી છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર પાન કાર્ડને લઈને આ નિર્ણય લેશે તો કરદાતાઓને ફાયદો થશે. જો કે, કેટલાક વ્યવહારો વધુ કર કપાત આકર્ષિત કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો કોઈ વ્યક્તિ એક વર્ષ દરમિયાન 20 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરે છે તો તેણે પાન કાર્ડ બતાવવું પડે છે.