
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૂરાજકીય કટોકટીને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં LPGના પુરવઠા પર દબાણ જોવા મળ્યું હતું. જેના કારણે ઔદ્યોગિક અને વાણિજ્યિક ક્ષેત્રોને LPGની અછતનો સામનો કરવો પડ્યો હતો. હવે કેન્દ્ર સરકારે આ ક્ષેત્રો માટે મોટી રાહત જાહેર કરતાં બિન-ઘરેલુ પેકેજ્ડ LPG (19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડર)ના પુરવઠા પર લાગુ કરાયેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. સાથે જ જથ્થાબંધ LPGના વિક્ષેપિત પુરવઠાને પણ આંશિક રીતે ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણયનો સીધો લાભ હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ તેમજ વિવિધ ઉદ્યોગોને મળશે. મહત્વની વાત એ છે કે આ નિર્ણયથી ઘરેલુ LPGના પુરવઠા પર કોઈ અસર નહીં થાય અને ઘરેલુ ગ્રાહકોને અગાઉની જેમ જ પ્રાથમિકતા આપવામાં આવશે.
સરકારે માર્ચ 2026થી વાણિજ્યિક અને ઔદ્યોગિક LPGના પુરવઠામાં ઘટાડો કર્યો હતો. તેનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૂરાજકીય અસ્થિરતા અને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડાયેલી પરિસ્થિતિ હતી. આ સંજોગોમાં દેશના ઘરેલુ LPG ગ્રાહકોને અવિરત પુરવઠો મળી રહે તે માટે વાણિજ્યિક ક્ષેત્રમાં સપ્લાય મર્યાદિત કરવામાં આવ્યો હતો.
તાજેતરના સમયમાં LPGની ઉપલબ્ધતા સુધરતા, સ્થાનિક ઉત્પાદનમાં વધારો થતાં અને આયાતના વૈકલ્પિક સ્ત્રોતો સફળતાપૂર્વક વિકસાવવામાં આવતા સરકારે તમામ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ સચિવ ડૉ. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સત્તાવાર પત્ર મોકલી નવી વ્યવસ્થા તાત્કાલિક અમલમાં મૂકવા સૂચના આપી છે.
સરકારના આ નિર્ણયથી છેલ્લા કેટલાક મહિનાઓથી મોંઘા વિકલ્પોનો સહારો લઈ રહેલા ઉદ્યોગોને રાહત મળશે અને તેમના ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
નવી વ્યવસ્થા હેઠળ 19 કિલોગ્રામના વાણિજ્યિક LPG સિલિન્ડર પર લાગુ કરાયેલા તમામ ક્ષેત્રીય નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. હવે તમામ અધિકૃત ડીલરો અને વિતરકોને કટોકટી પહેલાંની જેમ 100 ટકા ક્ષમતા મુજબ LPGનો પુરવઠો મળશે.
આ નિર્ણયનો સૌથી વધુ લાભ હોટલ, રેસ્ટોરન્ટ, નાના ખાણીપીણીના વ્યવસાયો, હોસ્પિટલો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને મળશે, જે રોજિંદા કામગીરી માટે કોમર્શિયલ LPG સિલિન્ડર પર નિર્ભર છે.
સરકારે મોટા ઉદ્યોગો અને ફેક્ટરીઓમાં વપરાતા જથ્થાબંધ LPG (બલ્ક LPG) અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કટોકટી દરમિયાન આ પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે અનેક ઉત્પાદન એકમોની કામગીરી પ્રભાવિત થઈ હતી.
હવે પરિસ્થિતિ સામાન્ય બનતાં સરકારે કટોકટી પહેલાંના વપરાશના 50 ટકા સુધી બલ્ક LPG સપ્લાય ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. આ પગલાથી મોટા ઉદ્યોગોને કામગીરી સરળ બનશે અને ઇંધણ ખર્ચમાં પણ રાહત મળશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયથી સબસિડીવાળા ઘરેલુ LPGના પુરવઠા પર કોઈ અસર નહીં થાય. ઘરેલુ ગ્રાહકોની જરૂરિયાતોને અગાઉની જેમ જ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.
‘કેતન જીવિત છે’ સાંભળતાં જ સિયાનો પરસેવો છૂટી ગયો, પોલીસનો ચોંકાવનારો દાવો