આવતા મહિને EPFO બોર્ડની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં ઈક્વિટીમાં રોકાણ મર્યાદા વધારવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ગયા મહિને જ EPFOની ફાયનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટીની બેઠક આ મુદ્દે ચર્ચા કરવા માટે યોજવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર EPFO આવતા મહિને ઈક્વિટી એટલે કે સ્ટોક માર્કેટમાં રોકાણની મર્યાદા 15 ટકાથી વધારીને 25 ટકા કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મર્યાદામાં આ વધારો બે તબક્કામાં થઈ શકે છે. જો કે બીજી તરફ ઘણા કર્મચારી યુનિયનો ઈક્વિટીમાં રોકાણ મર્યાદા વધારવાનો વિરોધ કરી રહ્યા છે.
EPFOની બેઠક આવતા મહિને 8 થી 9 જુલાઈ દરમિયાન બેંગ્લોરમાં યોજાશે. એક અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે EPFO દ્વારા પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપ્યા પછી તેને અંતિમ મંજૂરી માટે નાણાં મંત્રાલય(Ministry of Finance) અને શ્રમ મંત્રાલયને મોકલવામાં આવશે. હાલમાં PF ડિપોઝિટના 15 ટકા ઇક્વિટીમાં રોકાણ કરી શકાય છે. પ્રસ્તાવ મુજબ આ મર્યાદા વધારીને 25 ટકા કરવાની છે જેમાં પ્રથમ તબક્કામાં મર્યાદા 15 ટકાથી વધારીને 20 ટકા અને બીજા તબક્કામાં મર્યાદા 20 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં EPFO હેઠળ રચાયેલી 4 સબ-કમિટીના અહેવાલ અને સલાહ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સમિતિઓ ડિજિટલાઇઝેશન, સામાજિક સુરક્ષા, પેન્શન વગેરે જેવા મુદ્દાઓ સાથે સંબંધિત છે. બીજી તરફ અન્ય એક રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો રોકાણની મર્યાદા 15 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવે તો EPFO દર મહિને શેરબજારમાં લગભગ 3000 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી શકશે.
EPFO હાલમાં તેના ખાતાધારકોને 4 દાયકામાં સૌથી નીચો વ્યાજ દર ઓફર કરી રહ્યું છે. ઓછા જોખમવાળા રોકાણ વિકલ્પોમાંથી ઓછા વળતરને ધ્યાનમાં રાખીને, ફંડ હવે વધુ સારા રોકાણ વિકલ્પો તરફ વળે છે જ્યાં તે વધુ વળતર મેળવી શકે છે અને તેના બદલામાં ખાતાધારકોને તેમની થાપણો પર વધુ વ્યાજ ઓફર કરે છે. ભૂતકાળમાં બજારમાં ફંડના સારા અનુભવ પછી બોર્ડ હવે ઇક્વિટી માર્કેટમાં વધુ રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે.