
Bank Holiday Today :ગુજરાતમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો આજે એટલે કે 28 તારીખે અનંત ચતુર્દશી(Anant Chaturdashi)ના પર્વના કારણે બંધ રહેશે. આટલુંજ નહીં આવતીકાલે સતત બીજા દિવસે 29 સપ્ટેમ્બરે પણ ઈદ-એ-મિલાદ(Eid-e-Milad)ના તહેવાર નિમિત્તે બેંકમાં કામકાજ થશે નહીં.
આ વર્ષે અનંત ચતુર્દશી 28 સપ્ટેમ્બરે એટલેકે આજે છે. દર વર્ષે આ તહેવાર ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના શાશ્વત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેથી તેને અનંત ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે.
10 દિવસનું આતિથ્ય માણનાર દુંદાળા દેવ ગણેશજીને વિદાય આપવામાં આવશે. ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ચતુર્દશી તિથિ પર કરવામાં આવે છે તેથી તેને અનંત ચતુર્દર્શી અથવા અનંત ચૌદસ તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ અનંત ચતુર્દશીનો તહેવાર ચતુર્દશી તિથિ અથવા ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની 14મી તિથિએ ઉજવવામાં આવે છે.
RBI ના રજાના કેલેન્ડર મુજબ રાજ્યોના આધારે બેંકમાં કામકાજ ચાલુ અથવા રજા રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી નથી અથવા બદલી નથી, તો આગામી રજાઓને ધ્યાનમાં રાખીને તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 30 સપ્ટેમ્બર પછી 2000 રૂપિયાની નોટ હવે લીગલ ટેન્ડર રહેશે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર સપ્ટેમ્બરમાં ભારતના વિવિધ રાજ્યોમાં રવિવાર, બીજો શનિવાર અને ચોથો શનિવાર સહિત કુલ 16 દિવસની બેંક રજાઓ છે. હવે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઘણી બેંક રજાઓ છે. આવી સ્થિતિમાં 28 થી 30 સપ્ટેમ્બર બેંક બંધ રહેવાની હોવાથી જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે અને તમે તેને બદલી નથી તો નોટ બદલી શકશો નહીં કારણ કે 28 અને 29 તારીખે બેંકો બંધ રહેવાની છે અને છેલ્લી તારીખ શનિવારે છે. 30મી તારીખે શનિવારે બેંકોમાં half year ending રહેશે.RBI અનુસાર, 30 સપ્ટેમ્બર નોટ બદલવાની છેલ્લી તારીખ છે અને તે પછી 2000 રૂપિયાની નોટ હવે લીગલ ટેન્ડર રહેશે નહીં.