Air India 20 ઓગસ્ટથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરશે, જાણો કયા શહેરો માટે હશે ફ્લાઈટ્સ

એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં એરક્રાફ્ટની સંખ્યામાં વધારો થવાની સાથે ફ્લાઇટની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે.

Air India 20 ઓગસ્ટથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરશે, જાણો કયા શહેરો માટે હશે ફ્લાઈટ્સ
Air India
Image Credit source: File Image
| Edited By: | Updated on: Aug 11, 2022 | 8:44 PM

એર ઈન્ડિયા (Air India) આવતા સપ્તાહથી તેની ડોમેસ્ટિક ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે.  એર ઈન્ડિયા એરલાઈન્સે ગુરુવારે જણાવ્યું હતું કે તે 20 ઓગસ્ટથી 24 વધારાની સ્થાનિક ફ્લાઈટ્સનું સંચાલન (Domestic Flights) કરશે. એરલાઈન્સ અનુસાર આ ફ્લાઈટ્સની મદદથી તેઓ દેશના મહત્વના શહેરોને વધુ સારી રીતે જોડવામાં સક્ષમ બનશે. ટાટા ગ્રૂપે એર ઈન્ડિયા પર નિયંત્રણ મેળવ્યા પછી ફ્લાઈટ્સનું આ પ્રથમ મોટું વિસ્તરણ છે. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર તહેવારોની સિઝનમાં લોકોને આ નવી ફ્લાઈટ્સથી ઘણો ફાયદો થશે. નવી ફ્લાઈટ્સ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને અમદાવાદ માટે હશે.

ક્યાં શહેરો માટે મળશે નવી ફ્લાઈટ્સ

એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું છે કે વધારાની 24 ફ્લાઈટ્સમાંથી બે દિલ્હીથી મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદ અને મુંબઈથી ચેન્નાઈ અને હૈદરાબાદની હશે. આ ઉપરાંત મુંબઈ-બેંગલુરુ અને અમદાવાદ-પૂણે રૂટ પર પણ નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે. એર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, અમે એરક્રાફ્ટને ફરીથી સેવામાં લાવવા માટે છેલ્લા છ મહિનાથી અમારા ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને અમને આનંદ છે કે આ પ્રયાસ ફળદાયી પરિણામો દર્શાવે છે.

એરલાઈન્સ ફ્લાઈટની સંખ્યા વધારવા માટે એરક્રાફ્ટની ઉપલબ્ધતા વધારી રહી છે. એરલાઇનના નેરોબોડી ફ્લીટમાં 70 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે, જેમાંથી 54 હાલમાં ફ્લાઇટ માટે ઉપલબ્ધ છે. એરલાઈન અનુસાર બાકીના 16 જહાજનો ઉપયોગ 2023ની શરૂઆત સુધીમાં ઉડાનમાં થઈ શકે છે. આ સાથે આગામી સમયમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં વધુ વૃદ્ધિ થશે.

નવી ફ્લાઈટ્સ સાથે મુસાફરોને વધુ વિકલ્પો મળશે

એરલાઈનના જણાવ્યા અનુસાર આ વધારાની ફ્લાઇટ્સ સાથે, મુસાફરોને દેશના મોટા શહેરો માટે વધુ વિકલ્પો મળશે. આનાથી દરરોજ દિલ્હી અને મુંબઈ વચ્ચે બંને દિશામાં 10-10 ફ્લાઈટ્સ, દિલ્હી અને બેંગ્લોર વચ્ચે બંને દિશામાં 7-7, મુંબઈ અને બેંગ્લોર અને મુંબઈ ચેન્નાઈ વચ્ચે બંને દિશામાં 4-4 ફ્લાઈટ્સ અને મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી-અમદાવાદ વચ્ચે બંને દિશામાં 3-3 ફ્લાઈટનો વિકલ્પ મળશે. ઉલ્લેખનીય છે કે તહેવારોની સિઝન આવી રહી છે. સાથે જ કોરોના ધીમો પડતા પ્રતિબંધો પણ હટાવાઈ ચૂક્યા છે. ત્યારે શરૂ થઈ રહેલી નવી ફ્લાઈટ્સ લોકોને નવો વિકલ્પ પુરો પાડશે.