ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સચિવ તુહીન કાંત પાંડેએ જણાવ્યું છે કે એર ઈન્ડિયાના ખાનગીકરણ બાદ હવે સરકાર પાસે એલાયન્સ એર સહિતની ચાર અન્ય પેટાકંપનીઓ અને 14,700 કરોડ રૂપિયાથી વધુની જમીન-ઈમારતો જેવી ગેર-પ્રમુખ સંપતિના મુદ્રીકરણ પર કામ શરૂ કરશે.
8 ઓક્ટોબરના રોજ સરકારે જાહેરાત કરી હતી કે ટાટા સન્સે 18,000 કરોડ રૂપિયામાં દેવાગ્રસ્ત રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને ખરીદવાની બોલી જીતી લીધી છે. આમાં 2,700 કરોડ રૂપિયાની રોકડ ચુકવણી અને 15,300 કરોડ રૂપિયાનું દેવું શામેલ છે. ડિસેમ્બરના અંત સુધીમાં આ સોદો પૂરો થવાની ધારણા છે. પાંડેએ જણાવ્યું હતું કે “DIPAM હવે એર ઈન્ડિયાની પેટાકંપનીઓના મુદ્રીકરણની યોજના પર કામ કરશે. આ પેટાકંપનીઓ ભારત સરકારની એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL) પાસે છે.
તેમણે કહ્યું કે પેટાકંપનીઓનું વેચાણ શરૂ થઈ શક્યું નથી કારણ કે તે બધી કંપની એકબીજા સાથે જોડાયેલી છે. જ્યાં સુધી એર ઈન્ડિયા વેચાય નહીં ત્યાં સુધી અમે અન્ય વસ્તુઓ તરફ આગળ વધી શકીએ નહીં. એર ઈન્ડિયાના વેચાણ માટે સરકારે 2019માં એર ઈન્ડિયા ગ્રુપના દેવા અને નોન-કોર એસેટ્સને રાખવા માટે ખાસ હેતુવાળી કંપની AIAHLની રચના કરી હતી.
એર ઈન્ડિયાની ચાર પેટાકંપનીઓ છે – એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ લિમિટેડ (AIATSL), એરલાઈન એલાઈડ સર્વિસીસ લિમિટેડ (AASL), એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ (AIESL) અને હોટલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (HCI) લિમિટેડ.
ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને 18,000 કરોડમાં ખરીદ્યું છે. આ સોદા હેઠળ તે એરલાઈનનું 15,300 કરોડનું દેવું ચૂકવશે અને સરકારને 2,700 કરોડ રૂપિયા રોકડ તરીકે મળશે.
DIPAMના સચિવ તુહીનકાંત પાંડેએ જણાવ્યું હતું કે આ સોદા હેઠળ સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટાટા ગ્રુપ એર ઈન્ડિયામાં 100 ટકા હિસ્સો ધરાવશે. આ સિવાય એર ઈન્ડિયાની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સો અને Air India SATSમાં 50 ટકા હિસ્સો પણ ટાટા ગ્રુપને મળી ગયો.
આ ડીલ હેઠળ ટાટા ગ્રુપને એર ઈન્ડિયાનો સમગ્ર કાફલો પણ મળી જશે. એર ઈન્ડિયા પાસે રહેલા તેના કાફલામાં 117 વાઈડ બોડી એરક્રાફ્ટ અને 24 નેરો બોડી એરક્રાફ્ટ મળશે. આ સિવાય તેમની પાસે એર ઈન્ડિયા, ઈન્ડિયન એરલાઈન્સ અને મહારાજા બ્રાન્ડ પર માલિકીના અધિકારો પણ હશે.