કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ હતું. છેલ્લા બે વર્ષના સામાન્ય બજેટની જેમ આ બજેટ પણ પેપરલેસ હતું. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ બજેટ અનુસાર LED ટીવી, રમકડાં, મોબાઈલ કેમેરા, લેન્સ ઈલેક્ટ્રિક ગાડીઓ , હીરાની જ્વેલરી, ખેતીના સામાન, લિથિયમ સેલ્સ અને સાયકલ જેવી વસ્તુઓ સસ્તી થઈ છે. જ્યારે સિગારેટ, આલ્કોહોલ, છત્રી, વિદેશી રસોડાની ચીમની, ગોલ્ડ અને હીરા, પ્લેટિનમ અને એક્સ-રે મશીન જેવા સામાન મોંઘા થયા છે.
બજેટમાં 7 પ્રાથમિકતાઓ પર ભાર મુકવામાં આવ્યો. જેમાં પ્રથમ પ્રાથમિકતા ‘સૌ નો સાથ સૌનો વિકાસ’ હતો. આ બજેટ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2014થી હમણા સુધીની સરકારની સફળતાઓની પણ ચર્ચા કરી હતી. ચાલો જાણીએ નાણાં મંત્રીએ વર્ષ 2014થી હમણા સુધીની સરકારની કઈ ઉપલબ્ધિઓ ગણાવી.
નાણાં મંત્રીએ જણાવ્યું કે, 2014થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને 1.97 લાખ થઈ છે. આ નવ વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા કદમાં વધીને વિશ્વમાં 10મા સ્થાનેથી 5મા ક્રમે છે. અમે ઘણા વૈશ્વિક સૂચકાંકોમાં પ્રતિબિંબિત વ્યાપાર માટે અનુકૂળ વાતાવરણ સાથે સુશાસિત અને નવીન દેશ તરીકે અમારી સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. અમે ઘણા ટકાઉ વિકાસ લક્ષ્યાંકોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
2022માં EPFO સભ્યપદ બમણા કરતાં વધુ 27 કરોડ અને UPI મારફત 126 લાખ કરોડની 7,400 કરોડ ડિજિટલ ચૂકવણીમાં પ્રતિબિંબિત થતાં અર્થતંત્ર ઘણું ઔપચારિક બન્યું છે. લક્ષ્યાંકિત લાભોના સાર્વત્રિકરણ સાથે ઘણી યોજનાઓના કાર્યક્ષમ અમલીકરણના પરિણામે સમાવેશી વિકાસ થયો છે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ 11.7 કરોડ ઘરગથ્થુ શૌચાલય, ઉજ્જવલા હેઠળ 9.6 કરોડ એલપીજી કનેક્શન, 102 કરોડ વ્યક્તિઓનું 220 કરોડ કોવિડ રસીકરણ, 47.8 કરોડ PM જન ધન બેંક ખાતા, PM સુરક્ષા વીમા અને PM જીવન યોજના હેઠળ 44.6 કરોડ વ્યક્તિઓ માટે વીમા કવચ. PM કિસાન સન્માન નિધિ હેઠળ 11.4 કરોડથી વધુ ખેડૂતોને `2.2 લાખ કરોડનું રોકડ ટ્રાન્સફર.