મંગળવારે આ રીતે કરશો ભગવાન ગણેશની પૂજા, ફળીભૂત થશે વિવિધ કામના !

|

Dec 20, 2022 | 6:09 AM

મંગળવારે (Tuesday) તો ખાસ ગણપતિજીને મોદક કે લાડુ ચઢાવવાની માન્યતા છે. કહે છે કે આ ભોગ અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે.

મંગળવારે આ રીતે કરશો ભગવાન ગણેશની પૂજા, ફળીભૂત થશે વિવિધ કામના !
Lord Ganesh (symbolic image)

Follow us on

ભગવાન ગણેશજીને આપણે મંગલમૂર્તિ કહીએ છીએ. માન્યતા અનુસાર જે વ્યક્તિના જીવન પર ભગવાન ગણેશની કૃપા ઉતરે છે, તેના જીવનમાં બધું જ મંગળમય જ રહે છે ! ભગવાન ગણેશ એ અમંગળને અને વિઘ્નોને હરનારા મનાય છે. તે તેમના ભક્તના જીવનમાં આવનારી બધી જ સમસ્યાઓને દૂર કરી દે છે. એમાં પણ મંગળવારનો દિવસ એ તો શ્રીગણેશની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર મનાય છે. ત્યારે આવો, આજે એ જાણીએ મંગળવારના રોજ કેવાં ઉપાયો અજમાવીને તમે ભગવાન ગણેશની કૃપાને પ્રાપ્ત કરી શકો છો.

સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ !

મંગળવારે સવારે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પછી એક સ્વચ્છ આસન પર બિરાજમાન થઇ ગણેશજીની પૂજા કરો. પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવો. પૂજા દરમિયાન ગણેશજીને ધૂપ, દીપ અર્પણ કરો. ત્યારબાદ ફળ, ફૂલ, ચોખા, નાડાછડી અર્પણ કરો. આ દિવસે પ્રભુને તલમાંથી બનેલી વસ્તુઓ કે તલ તથા ગોળથી બનેલ લાડુનો ભોગ લગાવો. માન્યતા અનુસાર મંગળવારનું વ્રત કરનાર વ્યક્તિએ લાલ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. કહે છે કે એવું કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

દેવામુક્તિ અર્થે

ભગવાન ગણપતિને ગળપણ ખૂબ જ પસંદ છે. ગજાનન ખાવાના ખૂબ શોખીન છે. તેમને વિવિધ પ્રકારની મીઠાઈઓ પસંદ છે. તેમને મોદક, બેસનના લાડુ, મોતીચુરના લાડુ, ગોળ-નારિયેળની બનેલી વસ્તુઓનો પ્રસાદ અને ભોગ લગાવવામાં આવે છે.ગણેશજીને મોદક ખૂબ જ પસંદ હોવાથી મોદકનો પ્રસાદ અવશ્ય ચઢાવવો જોઇએ. મોદક ચોખાના લોટ, ગોળ, અને નારિયેળથી બનાવવામાં આવે છે. મંગળવારે તો ખાસ ગણપતિજીને મોદક કે લાડુ ચઢાવવાની માન્યતા છે. કહે છે કે આ ભોગ અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે.

કષ્ટમુક્તિ અર્થે

જો તમે કોઇ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ, છતાં તમને તે કાર્યમાં સફળતા ન મળતી હોય તો મંગળવારના રોજ કે સંકષ્ટીના અવસરે નીચે જણાવેલ મંત્રનો વિધિ પૂર્વક જાપ કરવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી તમને દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ મળશે.

ત્રયીમયાયાખિલબુદ્ધિદાત્રે બુદ્ધિપ્રદીપાય સુરાધિપાય ।

નિત્યાય સત્યાય ચ નિત્યબુદ્ધિ નિત્યં નિરીહાય નમોસ્તુ નિત્યમ ।।

ધનની વૃદ્ધિ અર્થે 

શાસ્ત્રો અનુસાર શમી એકમાત્ર એવું પાન છે કે જેની પૂજાથી ગણેશજી અને શનિદેવ બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવવા માટે શમીની પૂજા કરી હતી. શમી ગણેશજીને અત્યંત પ્રિય છે. શમીના કેટલાક પાન નિયમિત રીતે ગણેશજીને અર્પણ કરવાથી ઘરમાં ધનની અને સુખની વૃદ્ધિ થાય છે.

મનોકામના પૂર્તિ અર્થે

સવારે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી ગણેશ મંદિરમાં જઇને ગણેશજીના દર્શન કરી તેમને ગોળના 21 ટુકડાંની સાથે દૂર્વા અર્પણ કરવા. આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. મંગળવારનું વ્રત રાખનારે શક્ય હોય તો સાંજના સમયે ઘરમાં જ ગણેશ અર્થવશીર્ષના પાઠ કરવા જોઇએ. ત્યારબાદ ગણેશજીને તલથી બનેલા લાડુનો ભોગ લગાવવો જોઇએ. આ પ્રસાદ ગ્રહણ કરીને જ તમારું વ્રત ખોલવું જોઈએ અને ભગવાન ગણેશને મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરવી.

જીવનની સમસ્યામાંથી મુક્તિ અર્થે

જો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ હોય તો તમારે મંગળવારના દિવસે હાથીને લીલો ઘાસચારો નિરવો જોઇએ અને ગણેશજીના મંદિર જઇને ભગવાન ગણેશ સમક્ષ તમારી સમસ્યાઓના સમાધાન માટે પ્રાર્થના કરવી જોઇએ. તેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓથી તમને રાહત મળી જશે.

મંગળવારના રોજ શ્રીગણેશની પૂજાનો સવિશેષ મહિમા છે. ત્યારે મંગળવારની સાથે જ સંકષ્ટી, અંગારકી ચતુર્થી તેમજ ગણેશ ચતુર્થી જેવાં અવસરો પર પણ તમે આ રીતે ગણેશ પૂજા કરીને વિઘ્નહર્તાની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article