ભારતીય સંસ્કૃતિમાં પાન અને સોપારીનું ખૂબ મહત્વ છે. શુભતાનું પ્રતિક માનવામાં આવતી સોપારીને કેટલાય શુભ અવસરો પર ઉપયોગમાં લેવાય છે. તો બીજી તરફ શૃંગાર માટે કે ભોજનમાં નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાય પ્રકારની મનોકામનાની પૂર્તિ અને કષ્ટોના નિવારણ માટે પાન અને સોપારીના ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર હનુમાનજીને પાન ખૂબ પ્રિય છે અને વાસ્તુમાં પણ પાનના ઘણાં ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ત્યારે, અમે આજે આપને પાનના અચૂક ઉપાયો વિશે જણાવીશું. જેનાથી આપ આપના જીવનમાં અદભુત પરિવર્તન લાવી શકશો. ભાગ્યના બંધ તાળાને ખોલવાની ચાવી વાસ્તવમાં આ પાનમાં છૂપાયેલી છે ! આવો, આજે તે વિશે વિગતે જાણીએ.
ખૂબ મહેનત કરવા છતા પણ જો ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા ન મળી રહી હોય, તો તેમને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે પાનનો વિશેષ પ્રયોગ અજમાવો. નાગરવેલના પાનમાં ગુલાબની પાંદડીઓ મૂકો અને ત્યારબાદ તે દેવી લક્ષ્મીને અર્પણ કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી ટૂંક જ સમયમાં ધનપ્રાપ્તિના યોગ સર્જાશે.
જો આપ પૂજા દ્વારા ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ અને મનોવાંચ્છિત આશીર્વાદ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તો આપે હનુમાનજીને ભોગમાં મીઠું પાન અર્પણ કરવું જોઇએ ! કહે છે કે તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે.
જો આપને વ્યવસાયમાં ખૂબ મહેનત કરવા છતાં ફળની પ્રાપ્તિ ન થતી હોય તો આપે આપના વ્યવસાયને આગળ વધારવા નાગરવેલના પાનનો ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ. ધંધામાં મનોવાંચ્છિત લાભ મેળવવા માટે શનિવારના દિવસે પાંચ નાગરવેલના પાન અને પાંચ પીપળાના પાન લેવા. તેને એક દોરામાં બાંધીને કાર્યસ્થળ પર પૂર્વ દિશામાં લટકાવવા જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી કાર્યક્ષેત્રમાં ધનનું આગમન થાય છે અને વ્યાપારમાં પ્રગતિના યોગ સર્જાય છે.
જો પૂજાઘરમાં નિયમિત રીતે પાનનો ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે તો ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવારના દિવસે ભગવાન શિવને ગુલકંદ મૂકેલું પાન અર્પણ કરવું શુભદાયી બને છે. કહે છે કે તે પાનમાં વરિયાળી, સોપારીનો ભૂક્કો અને કાથો મેળવેલા હોવા જોઇએ. શિવજીને આ પાન અર્પણ કરવાથી વ્યક્તિની દરેક મનોકામનાની પૂર્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
જો આપને મનપસંદ નોકરી પ્રાપ્ત નથી થઇ રહી અથવા તો વેપારમાં સતત અવરોધો આવી રહ્યા હોય તો રવિવારના દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે ખિસ્સામાં પાન રાખીને જવું. આપ ઇચ્છો તો આ પાનને પર્સમાં પણ રાખી શકો છો. આ ઉપાય કરવાથી આપના અટકેલા કાર્યો પૂર્ણ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)