ભક્તોને ઘેલું લગાવે છે અયોધ્યાના કનક ભવનની આ પ્રતિમા! જાણો કનક બિહારીનો મહિમા

લૌકિક માન્યતા અનુસાર કનક ભવન જ સીતારામજીનું નિવાસસ્થાન હતું. કહે છે કે ત્રેતાયુગમાં કનક ભવનથી સુંદર અને વધારે ભવ્ય અન્ય કોઈ જ ભવન ન હતું. તેના નામની જેમ જ કનક ભવન એ કનક એટલે કે સુવર્ણથી મઢાયેલું હતું !

ભક્તોને ઘેલું લગાવે છે અયોધ્યાના કનક ભવનની આ પ્રતિમા! જાણો કનક બિહારીનો મહિમા
kanak bihari
| Edited By: | Updated on: Mar 24, 2022 | 3:24 PM

અયોધ્યા એટલે તો શ્રીરામની (shri ram) જન્મભૂમિ. એ ભૂમિ કે જેના કણ-કણમાં શ્રીરામચંદ્રજીના સ્પંદનોની અનુભૂતિ આજે પણ વર્તાઈ રહી છે. તે આ જ ધરા છે કે જેને ‘રામરાજ્ય’ના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને આજે આજ ભૂમિ પર શ્રીરામચંદ્રજીના અનેકવિધ સ્થાનકોના દર્શન માત્ર શ્રદ્ધાળુઓને પરમ સૌભાગ્યની અનુભૂતિ કરાવી રહ્યા છે. જેમાંથી જ એક છે અયોધ્યામાં આવેલું અત્યંત મનોહારી કનક ભવન. (Kanak Bhawan) કનક ભવનની આભા જ કંઈક એવી છે કે તેને બસ નિહાળતા જ રહી જઈએ.

કનક ભવન એ અયોધ્યાના સૌથી સુંદર મંદિરોમાંથી એક છે! આ મનોહારી મંદિરની શોભા ખરેખર જ કોઈ ભવ્ય મહેલ જેવી ભાસે છે. તે કલાકારીગરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું પાડે છે. પરંતુ, તેનાથીયે વધુ સર્વોત્તમ તો છે આ કનક ભવનમાં વિદ્યમાન સિયારામની પ્રતિમાઓ. અહીં મંદિરમાં ભક્તોને સિયારામની અત્યંત મનોહારી મૂરતના દર્શન થઈ રહ્યા છે. આ પ્રતિમાઓની આભા જ કંઈક એવી છે કે બસ, નિરખ્યા જ કરીએ. શ્રીરામચંદ્રજી અહીં પદ્માસનમાં આરુઢ થયા છે અને દર્શન માત્રથી શ્રદ્ધાળુઓને પરમશાંતિની અનુભૂતિ કરાવી રહ્યા છે.

કનક ભવનમાં બિરાજમાન હોઈ શ્રીરામ અહીં કનક બિહારી અને દેવી સીતા કનક બિહારીનીના નામે પૂજાય છે. લૌકિક માન્યતા અનુસાર કનક ભવન જ સીતારામજીનું નિવાસસ્થાન હતું. કહે છે કે ત્રેતાયુગમાં કનક ભવનથી સુંદર અને વધારે ભવ્ય અન્ય કોઈ જ ભવન ન હતું. તેના નામની જેમ જ કનક ભવન એ કનક એટલે કે સુવર્ણથી મઢાયેલું હતું અને તેમાં વિવિધ પ્રકારના રત્ન જડવામાં આવ્યા હતા.

ભક્તોને ઘેલું લગાવે છે અયોધ્યાના કનક ભવનની આ પ્રતિમા! જાણો કનક બિહારીનો મહિમા

પ્રચલિત કથા અનુસાર ત્રેતાયુગમાં રાજા દશરથે તેમની પત્ની કૈકયી માટે વિશ્વકર્મા પાસે કનક ભવનનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ, શ્રીરામના વિવાહ બાદ કૈકયીએ જ્યારે પ્રથમવાર સીતાજીને જોયા, ત્યારે આ ભવન તેમને ભેટમાં આપી દીધો. આ રીતે કનક ભવન સીતાજીનું અંતઃપુર બન્યું. દંતકથા અનુસાર સિયારામ અહીં જ નિવાસ કરતા.

અહીં દેવી સીતાનું સિંદૂર કુંવારી કન્યાઓને પ્રસાદ રૂપે અપાય છે. માન્યતા અનુસાર તેનાથી ખૂબ જ જલ્દી કન્યાના વિવાહનો યોગ સર્જાય છે અને તેમને મનના માણીગરની પ્રાપ્તિ થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ આ છોડને ઘરમાં લગાવવાની ના કરશો ભૂલ, નહીંતર થઈ શકે છે નુકસાન

આ પણ વાંચોઃ લીલો રંગ કેવી રીતે કરશે તમારો ભાગ્યોદય ? જાણો, બુધવાર સાથે જોડાયેલું લીલા રંગનું રહસ્ય !

Published On - 8:30 am, Thu, 24 March 22