જો કોઈની કુંડળીમાં (KUNDLI) પિતૃદોષ (Pitru dosh) હોય, તો તેના જીવનમાં (Life) મુશ્કેલીઓનું ચક્ર સમાપ્ત જ નથી થતું. પિતૃદોષના કારણે વ્યક્તિએ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કરવો પડે છે. કેટલીકવાર બધી સમસ્યાઓ એકસાથે વ્યક્તિને ઘેરી લે છે. કહેવાય છે કે પિતૃદોષની કેટલીક અશુભ અસર વ્યક્તિના જીવન પર પણ પડે છે. જેની કુંડળીમાં પિતૃદોષ હોય છે તે વ્યક્તિના કોઇપણ કાર્ય સરળતાથી પૂર્ણ નથી થતા અને વારંવાર કાર્યમાં અવરોધ આવતા રહે છે. જયારે વ્યક્તિને પૈસાની મુશ્કેલીઓનો અભાવ સતાવતો હોય, પ્રગતિમાં અવરોધ આવતા હોય, સરળતાથી સંતાન પ્રાપ્તિ ન થતી હોય અથવા કસુવાવડ થઈ જતી હોય તો આ દરેક પિતૃદોષના જ લક્ષણો છે. એટલે એવું કહી શકાય કે જો પિતૃદોષ હોય તો કુટુંબ કે પરિવારનો વિકાસ, પ્રગતિ અટકી જાય છે.
સૌથી પહેલાં તો એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પિતૃદોષ શા માટે થાય છે ? તો ચાલો આપને જણાવીએ પિતૃદોષ થવાના કારણો. એવું માનવામાં આવે છે કે જેમણે જીવનપર્યંત તેમના માતા-પિતાનો અનાદર કર્યો હોય અથવા જેમણે મૃત્યુ પછી પણ તેમના પૂર્વજોનું શ્રાદ્ધ નથી કર્યું, એવા લોકોએ કુંડળીમાં પિતૃદોષ સાથે ફરી જન્મ લેવો પડે છે. જો તમને પણ તમારા જીવનમાં એકસાથે ઘણી મુશ્કેલીઓ આવે છે, લાંબા સમયથી તમારું કોઈ કાર્ય સરળતાથી પૂર્ણ નથી થઇ રહ્યું, તો તમારે કોઈ જ્યોતિષીને તમારી કુંડળી બતાવવી જોઈએ અને પિતૃદોષની મુશ્કેલીઓને દૂર કરવાના પગલાં લેવા જોઈએ.
પિતૃદોષમાંથી મુક્ત થવા અને પિતૃદોષથી પડતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા કેટલાક ખાસ ઉપાય કરવા પડે છે. આવો, આજે અમે આપને કેટલાક ખૂબ પ્રચલિત, સરળ અને લૌકિક ઉપાયો જણાવીએ.
પિતૃદોષ મુક્તિ અર્થે
પીપળા પૂજન
દરરોજ એવા મંદિરમાં જાઓ કે જ્યાં પીપળાનું વૃક્ષ હોય. દૂધ અને જળ મિશ્રિત કરી તે વૃક્ષમાં અર્પણ કરો. સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાયથી પિતૃઓ ખુશ થાય છે અને પિતૃદોષની અસર ધીમે ધીમે ઓછી થવા લાગે છે.
શિવ મંત્રજાપ
ભોળાનાથની તસવીર અથવા મૂર્તિ સામે બેસીને, ।। ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત્ ।। મંત્રનો દરરોજ જાપ કરો. તેમજ પૂર્વજોની મુક્તિ અર્થે ભગવાનને પ્રાર્થના કરો. આ મંત્રજાપ કરવાથી પણ પિતૃદોષ શાંત થાય છે અને આપની પર પિતૃઓની કૃપા વરસે છે.
અમાસની પૂજાવિધિ
અમાસ જેવી તિથિ પર પૂર્વજો માટે ખાસ પૂજા વિધિ કરાવવામાં આવે છે. અમાસના દિવસે પૂર્વજો માટે શુદ્ધતા સાથે ભોજન તૈયાર કરો. ત્યારબાદ ગાય, શ્વાન અને કાગડાને ભાત, ઘી અને એક રોટલી ખવડાવો. તથા કોઈપણ મંદિરમાં જઇને અથવા જરૂરિયાતમંદોને દૂધ, ખાંડ, સફેદ વસ્ત્ર, દક્ષિણા વગેરે પૂર્વજોના નામે દાન કરો. આ પ્રકારનું કાર્ય કરવાથી પૂર્વજો પણ રાજી થાય છે અને પિતૃદોષ શાંત થવા માંડે છે.
ગૌસેવા
દરેક નોમની તિથિ પર ગાયોને પાંચ પ્રકારના ફળ ખવડાવો અને સાંજે વૃક્ષ નીચે ભોજન લો. આવું કરવાથી, પૂર્વજો પ્રસન્ન થાય છે અને પિતૃદોષ સમાપ્ત થતો હોવાની માન્યતા છે.
પિતૃઓની ક્ષમા
જે રીતે તમે નિયમિત પૂજા કર્યા પછી તમારા ભગવાન પાસે ભૂલોની ક્ષમા માટે પ્રાર્થના કરો છો, તે જ રીતે, ભૂલો માટે દરરોજ પૂર્વજો પાસે પણ માફી માંગો. આમ કરવાથી પણ પિતૃદોષની અસર ઓછી થાય છે અથવા દૂર થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)