પ્રભુ સેવા પહેલાં માતા-પિતાની સેવા, પંઢરીનાથને પણ જોવી પડી ભક્ત પુંડલિકની રાહ !

ભકત પુંડલિકના આતિથ્ય માટે તો ખુદ ભગવાને જોવી પડી રાહ ! કારણકે ભક્ત પુંડલિક તો તેના માતા પિતાની સેવા ચાકરીમાં જ વ્યસ્ત હતા. અલબત્, ભગવાનને પણ ભક્તની માતુ-પિતૃ ભક્તિ ખુબ પસંદ પડી. અને ભગવાનનું ભક્તની રાહ જોતું સ્વરૂપ એટલે પંઢરીનાથનું રૂપ.

પ્રભુ સેવા પહેલાં માતા-પિતાની સેવા, પંઢરીનાથને પણ જોવી પડી ભક્ત પુંડલિકની રાહ !
| Edited By: | Updated on: Jul 25, 2021 | 5:57 PM

આજે નેશનલ પેરેન્ટ્સ ડે (NATIONAL PARENTS’ DAY) છે. આપણે આજના આધુનિક સમયમાં કેટલાય દિવસ ઉજવીએ છીએ. આજે ભારતના સૌ યુવાનો તેના માતા પિતાને આ વાલી દિવસની શુભકામના આપી રહ્યા છે. પણ આપણા સનાતન ધર્મ અનુસાર દરેક દિવસ માતૃ-પિતૃ દિવસ કહેવાય છે. કારણકે માતાપિતાનો આદર કરવા કોઈ એક દિવસની શું જરુર ? આપણી તો માતૃ દેવો ભવ: અને પિતૃ દેવો ભવ: ની સંસ્કૃતિ છે. આપણા શાસ્ત્રો થકી તો યુગો યુગોથી એ જ સંસ્કારના બીજ બાળકોમાં રોપાયા છે કે માતા પિતાનું સ્થાન તો ભગવાનથી પણ ઉપર છે.

આજે જ્યારે નેશનલ પેરેન્ટસ ડે છે ત્યારે તમને છઠ્ઠી સદીમાં થયેલા ભક્ત પુંડલીકની કથા કહીશું. એ પુંડલિક કે જેમના માટે તેના માતા પિતા જ ઈષ્ટદેવ હતા. અરે તેમના માતા પિતાની સેવા ચાકરીમાં લીન થયેલા ભક્ત પુંડલિકના આતિથ્યને માણવા તો ખુદ આખાં જગતના નાથને એટલે કે દ્વારકાધીશને પ્રતીક્ષા કરવી પડી.

છટ્ઠી સદીમાં પુંડલિક નામના એક ભક્ત થયા. કહે છે કે તે તેના માતા પિતાના પરમ ભક્ત હતા. પુંડલિક માટે તેમના માતા પિતા જ સર્વસ્વ હતા. એક દિવસ જ્યારે પુંડલિક તેના માતા પિતાના પગ દબાવી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ તેમના પત્ની દેવી લક્ષ્મી સાથે ત્યાં પ્રગટ થયા. પરંતુ પુંડલિક તો તેમના ઈષ્ટદેવ એટલેકે તેમના માતા પિતાની ભક્તિમાં એટલા લીન હતાં કે તેમનું ધ્યાન જ ન ગયું.

ત્યારે પ્રભુએ ખુબ પ્રેમ અને સ્નેહથી પુંડલિકને કહ્યું કે તેઓ તેમનું આતિથ્ય માણવા તેમના ઘરે આવ્યા છે. ત્યારબાદ પુંડલિકે પ્રભુ તરફ દ્રષ્ટિ કરી અને તેમને એક ઈંટ આપી. અને પુંડલિકે કહ્યું, ‘મારા પિતા અત્યારે શયન કરે છે અને હું તેમની સેવા કરું છું. તમે કૃપા કરી આ ઈંટ પર ઉભા રહીને રાહ જુઓ.’

કથા અનુસાર ભગવાન પુંડલિકની માતૃ-પિતૃ ભક્તિ જોઈ ખુબ પ્રસન્ન થયા. અને ભગવાન કમર પર મૂઠ્ઠી વાળી ત્યાં ઈંટ પર જ ઉભા રહી રાહ જોવા લાગ્યા. ભગવાનને પુંડલિકની તેમના માતા પિતા પ્રત્યેની ભક્તિ પણ ખુબ પસંદ પડી અને તેમને મળેલું સ્થાન પણ. અને એટલે જ તો વિઠ્ઠલના રૂપમાં આજે પણ આજ કમર પર હાથ મુકેલી મૂદ્રામાં પ્રભુના દર્શન થાય છે. પ્રભુનું આ વિઠોબા રૂપ, પંઢરીનાથના નામે પણ પ્રખ્યાત છે. અને એ સ્થાન કે જ્યાં પ્રભુ રાદ જોતા રહ્યા તે સ્થાન આજે પંઢરપૂરના નામે ઓળખાય છે.

Follow Us