Bhakti : આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે ઊંધી ! ઊંધા હનુમાનજી લાવશે સીધા પરિણામ

આ મંદિરની વિશેષતા એ છે કે અહીં અંજનીસુત તેમના મસ્તકના ટેકે આરુઢ થયા છે. એટલે કે અહીં હનુમાનજીની પ્રતિમા ઊંધી છે ! ભક્તો આ પવનસુતને ‘ઉલટે હનુમાન' ના નામે પણ સંબોધે છે.

Bhakti : આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે ઊંધી ! ઊંધા હનુમાનજી લાવશે સીધા પરિણામ
સાંવેરમાં ભક્તોને ઊંધા હનુમાનજીના દર્શન !
| Edited By: | Updated on: Jul 31, 2021 | 10:41 AM

હનુમાનજી (HANUMANJI) એટલે તો કળિયુગમાં સૌથી ઝડપથી પ્રસન્ન થનારા દેવ. એ જ કારણ છે કે સમગ્ર ભારતમાં પવનસુતના અનેક વિધ સ્થાનકો વિદ્યમાન છે. જેમાં ક્યાંક સિંદૂરી સ્વરૂપે, ક્યાંક સ્વયંભૂ રૂપે, તો ક્યાંક ભવ્ય મૂર્તિ રૂપે અંજનીસુત ભક્તોને દર્શન દઈ રહ્યા છે. પરંતુ, અમારે તો આજે વાત કરવી છે સૌથી અનોખાં જ હનુમાન મંદિરની. એવાં મંદિરની કે જ્યાં હનુમાનજીની સૌથી દુર્લભ પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમા કરતાંય અચરજ ભરેલી તો હનુમાનજીના બિરાજમાન થવાની સ્થિતિ છે. તમને કદાચ નવાઈ લાગશે પણ ભારતમાં એક મંદિર એવું પણ છે કે જ્યાં પવનસુત ઊંધા થઈને બિરાજમાન થયા છે !

મધ્યપ્રદેશના ઈન્દોરમાં સાંવેર કરીને જગ્યા આવેલી છે. ઈન્દોર શહેરથી સાંવેરનું અંતર લગભગ 30 કિ.મી. જેટલું છે. અહીં આવેલું હનુમાન મંદિર લાખો હનુમાન ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થાનક પાતાળ વિજય હનુમાન મંદિરના નામે પ્રસિદ્ધ છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં અંજનીસુત તેમના મસ્તકના ટેકે આરુઢ થયા છે. એટલે કે અહીં હનુમાનજીની પ્રતિમા ઊંધી છે ! ભક્તો આ પવનસુતને ‘ઉલટે હનુમાન’ ના નામે પણ સંબોધે છે. સિંદૂર લગાવેલી આ પ્રતિમા ખૂબ જ ભાવવાહી વાસે છે.

હનુમાનજી કેમ ઊંધા ?
સાંવેરમાં હનુમાજીની ઊંધા મુખવાળી પ્રતિમા સ્થાપિત છે. તેની સાથે એક અત્યંત રસપ્રદ કથા જોડાયેલી છે. રામાયણકાળમાં અહિરાવણ અને મહિરાવણે રામ-લક્ષ્મણનું અપહરણ કરી લીધું. તેમને કેદ કરી અસુરો પાતાળમાં લઈ ગયા. હનુમાનજીએ પાતાળમાં પ્રવેશ કરી અહિરાવણ, મહિરાવણનો વધ કર્યો અને રામ-લક્ષ્મણને મુક્ત કરાવ્યા.

લોકવાયકા એવી છે કે સાંવેર જ એ સ્થાન છે કે જ્યાંથી હનુમાનજીએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો. પાતાળ પ્રવેશ સમયે પ્રભુનું મુખ જમીન તરફ અને પગ આકાશ તરફ હતા. બસ, આ જ સ્વરૂપનું મૂર્તિ રૂપ ધરી હનુમાનજી સાંવેરમાં બિરાજમાન થયા છે. એટલે જ તો ભક્તો તેમને ઉલટે હનુમાનજીના નામે સંબોધે છે.

સાંવેરના ઊલટા હનુમાન મંદિરમાં શ્રીરામ, સીતા, લક્ષ્મણજીની સાથે જ શિવ-પાર્વતીની મૂર્તિઓ પણ બિરાજમાન છે. અલબત ભક્તોને મન તો સવિશેષ મહિમા હનુમાનજીના ઊંધા રૂપને નિહાળવાનો છે. કહે છે કે અહીં સળંગ પાંચ મંગળવાર અથવા તો શનિવાર ભરવાથી હનુમાનજી ભક્તોની સઘળી મનોકામનાને પૂર્ણ કરે છે. એટલે કે, અહીં હનુમાન પ્રતિમા ભલે ઊંધી હોય, પણ, આ પવનસુત તો ભક્તોને સડસડાટ સીધા પરિણામ પ્રાપ્ત કરાવે છે. ભક્તોના જીવનને ખુશીઓથી ભરી દે છે.

 

આ પણ વાંચો : દુ:ખની હારમાળા હવે તો હરો હરિ ! કેવી શ્રદ્ધા સાથે મુશ્કેલી પર પ્રાપ્ત થાય જીત ?

આ પણ વાંચો : અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !

Follow Us
Loading...
Unable to load recommendations.