શનિદેવનું (SHANIDEV) નામ પડતા જ ઘણાં શ્રદ્ધાળુઓ ભયભીત થઈ જતા હોય છે. કારણ કે, શનિદેવના સ્મરણ સાથે જ ભક્તોને તો પનોતીનું પણ સ્મરણ થઈ જતું હોય છે, અને પનોતીથી પ્રાપ્ત થનારી પીડાનું પણ ! અલબત્, શનિદેવ તો ન્યાયના દેવતા છે. અને નીતિ અનુસાર ચાલનારા ભક્તોને તે ક્યારેય પરેશાન નથી કરતા ! પછી ભલેને વ્યક્તિની પનોતી જ કેમ ન ચાલી રહી હોય ! એટલું જ નહીં, શનિદેવ ભલે ઉગ્રદેવ મનાતા હોય, પરંતુ, તેમને પ્રસન્ન કરવું બિલ્કુલ પણ મુશ્કેલ નથી.
સામાન્ય રીતે ભક્તો દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે મંત્રજાપ કે વિશેષ પૂજા-અનુષ્ઠાનનો પ્રયોગ કરતા હોય છે. પણ, ઘણીવાર અત્યંત સરળ વિધિ અને ઘરમાં ઉપલબ્ધ હોય તેવી જ સામગ્રીનો પ્રયોગ કરીને પણ આપણે, પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. તમને કદાચ નવાઈ લાગશે, પણ, ન્યાયના દેવતા શનિદેવ તો ભક્તો પાસે શુદ્ધ ભાવ સિવાય વિશેષ કશું જ નથી માંગતા. એ જ કારણ છે કે તમે સરળ ઉપાયો દ્વારા તેમને પ્રસન્ન કરી શકો છો. પ્રસન્ન શનિદેવ તમને પનોતીની પીડામાંથી રાહતની પ્રાપ્તિ કરાવશે. સાથે જ, તમારી મનશાઓની પૂર્તિ પણ કરશે. ત્યારે આવો, આજે જાણીએ કેટલાંક એવાં લૌકિક નુસ્ખા જે શનિકૃપાની કરાવશે પ્રાપ્તિ.
શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય
1. ખાલી પેટે નાસ્તો કરતા પહેલાં કાળા મરી ચાવવા. ત્યારબાદ તેને ગોળ અથવા પતાશા સાથે ખાઈ લેવા.
2. જો જમવામાં મીઠું ઓછું હોય તો ઉપરથી સિંધવ મીઠું નાંખીને ખાવું. ભોજનમાં તીખાશ ઓછી હોય તો મરચાને બદલે કાળા મરીનો ઉપયોગ કરવો.
3. ભોજન ગ્રહણ કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી મૌન જ રહેવું.
4. ભોજન બાદ એક લવિંગ તો ચોક્કસથી ખાવ.
5. શનિદેવ તેમના ભક્તોની પરીક્ષા કરનારા છે. તેમની અપેક્ષા એ જ હોય છે કે ભક્તો ક્રોધથી દૂર રહે. એમાંય શનિવાર અને મંગળવારના રોજ તો ભૂલથી પણ ગુસ્સો ન જ કરવો.
6. દર શનિવારે સૂતા સમયે શરીર અને નખ પર તેલ લગાવવું.
7. માંસ, માછલી, મદિરા કે માદક પદાર્થોનું સેવન ન કરવું. આવા પદાર્થોના સેવનથી શનિદેવ નારાજ થઈ જાય છે.
8. ઘરની સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ અને સ્નેહભાવ રાખવો. કારણ કે જે ઘરમાં ગૃહલક્ષ્મી રડે છે તે ઘરમાં શનિદેવ સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં ખલેલ પાડે છે. તો, પ્રસન્નચિત્ત મહિલાના કારણે તે ઘરના પુરુષનો પણ ભાગ્યોદય થાય છે.
9. શનિદેવને ગોળ અને ચણાથી બનેલી વસ્તુઓનો ભોગ લગાવો અને શક્ય હોય તેટલાં વધુ લોકોને વહેંચો.
10. શનિવારે અડદની દાળના વડા કે પછી અડદની દાળ અને ચોખાની ખીચડી બનાવી લોકોમાં વહેંચવી.
11. દર શનિવારે લોખંડની વાટકીમાં તેલ ભરીને તેમાં પોતાનું મોઢું જોવું. ત્યારબાદ તેમાં દીવો પ્રગટાવી તેને શનિદેવના મંદિરમાં મૂકવો.
આ એવાં સરળ પ્રયોગ છે કે જે કોઈપણ વ્યક્તિ કરી શકે છે. લૌકિક માન્યતા પર આધારિત આ ઉપાયો અજમાવી વ્યક્તિ શનિદેવને પ્રસન્ન કરી શકે છે. તેમજ તેમની કૃપાને પ્રાપ્ત પણ કરી શકે છે.
આ પણ વાંચોઃ કેવી રીતે થયો હતો કાવડ યાત્રાનો પ્રારંભ ? શું છે તેના વિશેષ નિયમ ?