અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો ઉત્સવ ઉજવાશે. જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આબાલ વૃદ્ધ સૌ આ મહોત્સવને યાદગાર બનાવવા માટે હોશ પૂર્વક સેવા કરી રહ્યા છે. આ મહોત્સ ફક્ત બીએપીએસ (બોચાસણવાસી શ્રીઅક્ષરપુરૂષોત્તમ સંસ્થા) ના અનુયાયીઓ માટે જ નહીં, પરંતુ સામાજિક સેવાના ક્ષેત્રે પણ યાદગાર બની રહેશે. બીએપીએસ સંસ્થા વિવિધ સામાજિક સેવાના કાર્યો માટે જાણીતી છે ત્યારે આ મહોત્સવમાં પણ રક્તદાન શિબિરથી માંડીને વ્યસન મુક્તિ માટેની આહલેક જગાવવામાં આવશે.
બીએપીએસના હાલના આધ્યાત્મિક વડા પૂજય મહંત સ્વામીની આજ્ઞા પ્રમાણે 15 ડિસેમ્બરથી શરૂ થનારા આ મહોત્સવ માટે ભાવિક ભક્તો છેલ્લા ઘણા સમયથી વિવિધ સેવાઓમાં ઓતપ્રોત થઈ ગયા છે અને મહોત્સવ માટે બનાવવામાં આવેલા નગરમાં લોકો પરિવારજનો સાથે સેવામાં જોડાયેલા છે. તાજેતરમાં સંપન્ન્ થયેલા દિવાળીના તહેવારમાં પણ બીએપીએસના અનુયાયીઓએ મિત્રો સ્વજનોની સાથે દિવાળી કે નવા વર્ષનો તહેવાર ઉજવવાને બદલે જન્મ શતાબ્દી મહોત્સવના સ્થળે જ સેવા કરીને દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો.
નગરમાં જ રહેતા સ્વંયસેવકો માટે માટે અલગ ડોમ બનાવાયા છે. જ્યાં સેવામાં માટે એક થી બે મહિના સુધી રહેનારા યુવા હરિભક્તો અલગ અલગ શિફ્ટમાં દિવસ રાત સેવા કરી રહ્યા છે હાલમાં પેવર બ્લોકના રસ્તા બનાવવાની તેમજ લેન્ડ સ્કેપિંગની સેવા પૂરજોશમાં ચાલી રહી છે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીને લઇને 18 થી 70 વર્ષના વયના હજારો હરિભક્તોએ 15 થી 35 દિવસની સેવા નોંધાવી છે. જેમાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને હરિભક્તોને રસોડું, લેન્ડ સ્કેપિગં, પાર્કિંગ, ઇલેક્ટ્રિક વિભાગ, રજિસ્ટ્રેશન, પી.આર. વિભાગ, મેડિકલ સેવા, ટ્રાફિક, જેવી વિવિધ સેવા સોંપવામાં આવી છે.
પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ દરમિયાન સવાર સાંજ લાખો લોકોનું રસોડું ધમધમશે ત્યારે તેના માટે વ્યસ્ક મહિલાઓ અનાજની સફાઈ અને કરિયાણાને એકત્ર કરવાની સેવા કરી રહી છે સાથે સાથે શતાબ્દી મહોત્સવ સ્થળે સ્વ્યંસેવકો માટે સવાર સાંજ બનતા ભોજન માટે પણ મહિલાઓથી માંડીને પૂરૂષો સેવા આપી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીમાં સમાજ ઉપયોગી કાર્યોની પણ સરવાણી વહેશે. જે માટે બીએપીએસ દ્વારા અનેકવિધ આયોજનો કરાયા છે.આ આયોજનમાં રક્તદાન અંગે લોકોમાં જાગૃતતા આવે તેમજ સમાજ વ્યસન મુક્ત બને. તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં પાંચ લાખથી વધારે યુનિટ જેટલું રકતદાન થાય તેવો પણ લક્ષ્યાંક છે. પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી ની ઉજવણીમાં આવનારા લોકોને વ્યસનથી દૂર રહેવા માટે સમજાવટથી માંડી તેમને થતા આર્થિક અને સામાજિક તેમજ શારીરિક નુકસાન અંગે પણ સમજણ આપવા એક વિશેષ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.
આ મહોત્સવમાં વિદેશથી આવતા હરિભક્તો સેવા માટે ઘણા મહિના અગાઉથી આવી ગયા છે તો મહોત્સવ શરૂ થશે તે દરમિયાન પણ મોટી માત્રામાં વિદેશની ફ્લાઇટના આવાગમનામાં વધારો નોંધાશે. આવા સંજોગોમાં એર ટ્રાફિક તેમજ ટૂરિઝમમાં પણ વધારો થાય તેવી તમામ શકયતાઓ છે.