તંત્રશાસ્ત્રમાં કેટલાક વિશિષ્ટ દિવસ પૂજા ભક્તિ હેતુ શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. જેના થકી માનવ પોતાનું કલ્યાણ કરી શકે છે અને જીવનમાંથી નકારાત્મકતાનું નિવારણ કરી શકે છે. આ બધું જ યોગ્ય માર્ગદર્શન હેઠળ પણ કરવામાં આવે છે. તા. 4 ડિસેમ્બર, 2021ના રોજ એક આવો જ વિશિષ્ટ અને શુભ દિવસ છે કે જે અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારો બની રહેશે.
એકથી વધુ લાભ આપનાર દિન
તા. ૪/૧૨/૨૦૨૧ શનિવાર
કારતક વદ ૩૦, શનિવારી અમાસ
સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહીં)
તા. ૪/૧૨/૨૦૨૧ ના રોજ કારતક વદ અમાસ છે. જે શનિવારે પડી રહી છે. શનિવારની અમાસ શનિવારી અમાસ કહેવાય છે. જે શનિકૃત દોષ નિવારવા હેતુ શ્રેષ્ઠ છે. બીજું કે આ દિવસે સૂર્ય ગ્રહણ છે. સૂર્ય ગ્રહણ એ મંત્ર સિદ્ધિ, ભક્તિ, દાન જેવા કાર્ય માટે ઉત્તમ દિવસ છે. ત્રીજું કારતક વદ અમાસ એ પિતૃકૃપા પ્રાપ્ત કરાવનારો દિવસ પણ છે. ત્યારે આવો, તે વિશે વિગતે જાણીએ.
શનિકૃપા પ્રાપ્તિ
જેમની કુંડળીમાં શનિ ગ્રહની પ્રતિકૂળતા ચાલતી હોય, દશા, નાની કે મોટી પનોતીની અસર હોય તેવી વ્યક્તિ માટે આ દિવસ માટે જે અનુકૂળતા હોય તે મુજબની ભક્તિ લાભપ્રદ છે.
૧. સવારે શિવ મંદિરમાં જઈ જળમાં દૂધ, કાળા તલ મિશ્ર કરી શિવલિંગ પર અભિષેક કરવો. તેમજ ત્યાં જો પીપળાનું વૃક્ષ હોય તો તેને પણ જળ સિંચન કરતા પ્રદાક્ષિણા કરવી.
૨. સાંજે સૂર્યાસ્ત સમયે મંદિર પાસેના પીપળાના વૃક્ષ નીચે એક કોડીયામાં તેલનો ઉભીવાટ (ફુલ બત્તિ)નો દીવો પ્રગટાવો સારો કહી શકાય.
૩. રાત્રે ઘરે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને શનિ ચાલીસા કે તેમના મંત્ર જાપ યથાશક્તિ મુજબ કરવા.
૪. જો શક્ય હોય તો જરૂરતમંદ વ્યક્તિને તમારી યથાશક્તિ મુજબ દાન કરવું ઇચ્છનીય છે.
પિતૃ શાંતિ :
પિતૃને શાંતિ અને સદગતિ માટેના કર્મ આપણે ભાદરવાના વદ માસમાં, ઉપરાંત કારતક વદ અને ચૈત્ર વદ માસ દરમિયાન પણ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરતા હોઈએ છીએ. તેનાથી પિતૃકૃપા વડે આપણે આપણા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરતા હોઈએ છીએ.
કારતક વદ અમાસ તા. ૪/૧૨/૨૧ શનિવારના રોજ પિતૃકૃપા અને તેમની શાંતિ માટે સવારે મંદિરમાં શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવામાં આવે છે. પીપળાના વૃક્ષના મૂળ ફરતે જળ, દૂધ વડે સિંચન કરતા પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરાય છે અને તેની જડ પાસે કોઈ ફળ, સિંગ, સાકર કે પતાસું પ્રસાદ તરીકે અર્પણ કરાય છે. આ દિવસે ગાય, કૂતરાને રોટલી અપાવી.
મંત્ર સિદ્ધિ
તા. ૪/૧૨/૨૦૨૧ શનિવાર, ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે. (ભારતમાં દેખાશે નહિ જેથી પાળવાનું નથી) તે મંત્ર સિદ્ધિ માટે સારો દિવસ છે. આ દિવસે તમે કોઈપણ મંત્રજાપ કરો તો તેનું ફળ અનેકગણું મળતું હોય છે. અને આ દિવસે કરેલ દાનનું પુણ્ય પણ વિશેષ મળતું હોય છે.
આ પણ વાંચોઃ આખરે ક્યાં જાય છે ગંગામાં વિસર્જન કરેલી રાખ ? જાણો શું છે ધાર્મિક માન્યતા અને તેનું વૈજ્ઞાનિક કારણ
આ પણ વાંચોઃ શા માટે દ્વારિકાધીશના મંદિર પર ચઢાવાય છે 52 ગજની ધજા ? જાણો, મંદિરની ધજા સાથે જોડાયેલી રસપ્રદ બાબતો