Shravan-2021: શું તમે ઘરમાં જ કરી છે શિવલિંગની સ્થાપના ? જો હા, તો અચૂક ધ્યાનમાં રાખજો આ વાત

ઘરમાં સ્થાપિત થતું શિવલિંગ અને મંદિરમાં સ્થાપિત થતું શિવલિંગ એ બંન્ને ભિન્ન છે. કહે છે કે ઘરમાં સ્થાપિત શિવલિંગ જો નિયમાનુસાર સ્થાપિત હોય તો જ તેનું ફળ મળે છે. તેનાથી વિપરીત જો શિવલિંગ નિયમ પ્રમાણે ન હોય તો તે મુશ્કેલી પણ સર્જી શકે છે !

Shravan-2021: શું તમે ઘરમાં જ કરી છે શિવલિંગની સ્થાપના ? જો હા, તો અચૂક ધ્યાનમાં રાખજો આ વાત
નિયમઅનુસાર જ ઘરમાં કરો શિવલિંગની પૂજા
| Edited By: | Updated on: Aug 13, 2021 | 12:49 PM

Shravan-2021: શિવજી એક એવાં દેવ છે કે જેમની શિવલિંગ (shivling) સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. વિવિધ શિવાલયોમાં મહેશ્વરના વિધ-વિધ શિવલિંગ સ્વરૂપો દૃશ્યમાન થતાં હોય છે. તો ઘણી જગ્યાએ તો મહાદેવનું અત્યંત વિશાળ શિવલિંગ સ્વરૂપ પણ જોવા મળે છે. અલબત્, જ્યારે આપણે વાત કરતાં હોઈએ ઘરમાં થતી શિવપૂજાની ત્યારે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

શિવભક્તો ભલે સદૈવ શિવાલયોનું શરણું લેતાં હોય, પરંતુ, તેઓ ઘરમાં પણ શિવલિંગની સ્થાપના કરતા જ હોય છે. અને આસ્થા સાથે પૂજા-અર્ચના દ્વારા મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ, ઘરમાં શિવલિંગની સ્થાપના પૂર્વે તેમજ સ્થાપના બાદ પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે, ઘરમાં સ્થાપિત થતું શિવલિંગ અને મંદિરમાં સ્થાપિત થતું શિવલિંગ એ બંન્ને ભિન્ન છે. કહે છે કે ઘરમાં સ્થાપિત શિવલિંગ જો નિયમાનુસાર સ્થાપિત હોય તો જ તેનું ફળ મળે છે. તેનાથી વિપરીત જો શિવલિંગ નિયમ પ્રમાણે ન હોય તો તે મુશ્કેલી પણ સર્જી શકે છે. આવો, તે વિશે જ આજે માહિતી મેળવીએ.

ઘરમાં શિવલિંગ પૂજા
1. માન્યતા અનુસાર ઘરમાં સ્થાપિત કરવામાં આવતા શિવલિંગનું કદ અંગૂઠાથી વધારે ન હોવું જોઈએ. કહે છે કે 3 ઈંચથી મોટું શિવલિંગ તો ક્યારેય ઘરમાં સ્થાપિત ન જ કરવું.
2. શિવપુરાણ અનુસાર જોઈએ તો ઘરમાં ક્યારેય એકથી વધારે શિવલિંગની સ્થાપના ન કરવી જોઈએ.
3. જ્યાં શિવલિંગની સ્થાપના કરી હોય તે સ્થાન અંધારિયું કે બંધિયાર ન જ હોવું જોઈએ.
4. જો ઘરમાં શિવલિંગની સ્થાપના કરી હોય તો નિત્ય જ સવાર-સાંજ તેની પૂજા કરવી જોઈએ. શિવલિંગને અપૂજ્ય ન રાખવું.
5. કહે છે કે જો તમે સવાર સાંજ શિવલિંગની પૂજા કરી શકો તેમ ન હોવ, તો ઘરમાં શિવલિંગની સ્થાપના ન જ કરવી.
6. નિત્ય નિયમાનુસાર શિવલિંગનો જળાભિષેક કરવો જોઈએ. સમયસર મંત્રોચ્ચાર સાથે તેની પૂજા કરી ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ.
7. કહે છે કે ઘરમાં શિવજી બિરાજમાન હોય ત્યારે તેમની નિંદા તો ભૂલથી પણ ન કરવી જોઈએ. એટલું જ નહીં, તેમની સન્મુખ અન્યની નિંદા પણ ન કરવી જોઈએ.

ઉલ્લેખનિય છે કે ઘરમાં શિવલિંગ પૂજાના આ નિયમો પ્રચલિત માન્યતા પર આધારિત છે. પણ, કહે છે કે તેના પાલન દ્વારા ભક્તો તેમના પરિવારને આવનાર સંકટોથી બચાવી શકે છે. તેમજ કલ્યાણકર્તા શિવજીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકે છે.

આ પણ વાંચો : ભૂલથી પણ મહાદેવને આ વસ્તુઓ ન કરતા અર્પણ, નહીંતર બની જશો પાપના ભાગીદાર !

આ પણ વાંચો : ‘મહાકાલ’ને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી ? જાણો, ઉજ્જૈનીના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મહત્તા

Published On - 12:49 pm, Fri, 13 August 21

Follow Us
Loading...
Unable to load recommendations.