
હિન્દુ ધર્મમાં દરેક દિવસ દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. જેમાં બુધવારનો દિવસ પ્રથમ પૂજનીય ગણેશજીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી આપના પરિવાર પર ગણેશજીની કૃપા વરસશે. જે ભક્તો પર ગણપતિ બાપ્પાની કૃપા ઉતરે છે, તેમના જીવનમાંથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જાય છે. અને ઘરમાં સુખ-સમૃદ્ધિ તેમજ ખુશહાલીનું આગમન થાય છે. તો ચાલો, આજે એ જાણીએ કે બુધવારે એવું તો શું કરવું જોઈએ કે જેથી વિઘ્નહર્તા વિનાયકની સવિશેષ કૃપાની પ્રાપ્તિ થઇ શકે !
બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બુધવારના દિવસે શ્રીગણેશજીનો અથર્વશીર્ષનો પાઠ કરીને ગણેશજીને મોદક કે લાડુનો ભોગ અર્પણ કરવો જોઇએ. ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરીને તેમને ગુલાબની માળા અર્પિત કરો. સાથે જ માતાને ખીરનો પ્રસાદ પણ અર્પણ કરો. માન્યતા એવી છે કે આ રીતે માતાજી અને ગણેશજીને ભોગ અર્પણ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
જો તમારી આર્થિક સ્થિતિ સુયોગ્ય ન હોય તો ગણપતિ બાપ્પાને 21 કે 42 જાવંત્રી અર્પણ કરવી જોઈએ. માન્યતા છે કે તેનાથી આપની દરેક સમસ્યાઓ દૂર થાય છે. તેમજ આપના માટે આવકના નવા સાધન ઉત્પન્ન થાય છે.
જો ઘરમાં વાસ્તુદોષ હોય તો એક ખાસ વિધિનું અનુસરણ કરો. ઘરના મુખ્યદ્વારની અંદર અને બહારની તરફ એક જ જગ્યા પર ગણેશજીની 2 મૂર્તિઓ લગાવો. તેનાથી બંને મૂર્તિઓની પીઠ એકબીજાને પરસ્પર સ્પર્શ કરશે. માન્યતા એવી છે કે તેનાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થઇ જશે. ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે. આ રીતે ઘરમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને ખુશહાલીનો વાસ થશે.
જો આપ કોઇપણ પ્રકારના દેવાથી પરેશાન છો તો બુધવારના દિવસે સવા કિલો આખા મગ લઇને તેને ઉકાળી લો. પછી તેમાં ઘી અને ખાંડ ઉમેરીને ગાયને ખવડાવો. માન્યતા એવી છે કે આ ઉપાય નિયમીતપણે 5 કે 7 બુધવાર સુધી કરવાથી આપને આપના ઉપર રહેલ દેવામાંથી મુક્તિ મળે છે. અલબત્, તેની સાથે આપે નોકરી અને ધંધામાં મન લગાવીને કાર્ય પણ કરવું પડશે. તો જ આપને આ ઉપાયનો ફાયદો વર્તાશે.
બુધવારના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી આપને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે આ દિવસે ગરીબોને, જરૂરિયાતમંદ લોકોને મગની દાળ કે લીલા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તમે સૌભાગ્યવતી મહિલાઓને લીલા રંગની બંગડીઓનું દાન પણ કરી શકો છો. માન્યતા અનુસાર બુધવારના દિવસે આ પ્રકારે દાન કરવાથી કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થઈ જાય છે. અને કારકિર્દીમાં પ્રગતિનો માર્ગ ખૂલી જાય છે.
બુધવારના દિવસે ઘરેથી બહાર નીકળતા પહેલા મસ્તક પર સિંદૂરનું તિલક લગાવવું જોઇએ. સાથે જ લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. જો આપની પાસે લીલા રંગના વસ્ત્ર ન હોય તો આપ માત્ર લીલા રંગનો હાથરૂમાલ પણ પોતાના ખીસ્સામાં રાખી શકો છો. જ્યોતિષીય માન્યતા અનુસાર કામમાં આવનાર તમામ સમસ્યાઓ આ ઉપાયથી દૂર થઇ જાય છે. અને સફળતાના માર્ગ ખૂલી જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)