હિન્દુ ધર્મમાં (Hindu dharma) અઠવાડિયાના દરેક વારને અલગ અલગ દેવી-દેવતા સાથે જોડવામાં આવ્યો છે. તેમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને (Lord vishnu) સમર્પિત કરવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગુરુવારના દિવસનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે છે. આ દિવસે ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેના દ્વારા આપ અગણિત પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મીને પણ પ્રસન્ન કરી શકો છો. ત્યારે અમે આજે આપને એ જણાવવાના છીએ કે ગુરુવારના દિવસે કયા ઉપાયો કરવાથી આપની આર્થિક સંપન્નતામાં વધારો થશે.
કહે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં રહેલી આર્થિક સમસ્યાઓ દૂર કરી દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ સંબંધિત કેટલાક ઉપાયો પણ દર્શાવ્યા છે કે જે ગુરુવારના દિવસે કરવાથી આપનું નસીબ ચમકી ઉઠશે અને ભગવાન વિષ્ણુના અગણિત આશીર્વાદની પ્રાપ્તિ થશે.
સુખી દાંપત્યજીવન
ગુરુવારના દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવી જોઇએ. આ કાર્ય કરવાથી પતિ-પત્નીની વચ્ચે રહેલ અંતર દૂર થાય છે. પતિ-પત્નીના સંબંધોમાં સુમેળ રહે છે અને તેમનું દાંપત્યજીવન ખુશહાલ રહે છે. ખુશહાલ પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી જ રહે છે.
વિષ્ણુકૃપા પ્રાપ્તિ
જો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા હોય તો ગુરુવારના દિવસે પીળા રંગનું ભોજન ગ્રહણ કરવું જોઇએ. ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિનું ધ્યાન ધરવું જોઇએ સાથે જ હાથમાં પીળા રંગનો દોરો બાંધવો જોઇએ. મહિલાઓએ આ દોરો ડાબા હાથમાં બાંધવો જોઇએ. પુરુષોએ આ દોરો જમણા હાથમાં બાંધવો જોઇએ.
જીવનમાં પ્રગતિના આશિષ
ગુરુવારના દિવસે હળદર કે ચંદનનું તિલક અવશ્ય કરવું જોઇએ. ગુરુવારના દિવસે પીળા રંગનું ભોજન ગ્રહણ કરવું. જેમ કે કેળા, બેસનના લાડુ, ગોળ, પપૈયુ, કેરી. આ દિવસે પીળા રંગના વસ્ત્ર દાન કરવા જોઇએ. આ ઉપાય કરવાથી આપનો ગુરુગ્રહ મજબૂત થાય છે. સાથે જ પ્રગતિના દ્વાર પણ ખૂલે છે.
ગુરુ ગ્રહદોષ મુક્તિ
ગુરુ ગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે ગુરુવારના દિવસે હળદરવાળા પાણીથી સ્નાન કરવું જોઇએ. સાથે જ સ્નાન કરતા સમયે “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો જોઇએ. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.
સુખ-સમૃદ્ધિના આશીર્વાદ
ગુરુવારના દિવસે કેળના વૃક્ષની પૂજા કરવી જોઇએ. કેળના વૃક્ષના મૂળમાં પાણી ઉમેરવું જોઇએ. સાથે જ ચણાની દાળ, હળદર, ગોળ અને સૂકી દ્રાક્ષ પણ અર્પણ કરવા જોઈએ. વૃક્ષની નીચે તેલનો દીવો પ્રજવલિત કરવો જોઇએ અને કેળના વૃક્ષના મૂળની પૂજા કરવી જોઇએ. કહે છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થશે. સાથે જ સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પણ મળશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)