
હિંદુ સંસ્કૃતિમાં તુલસી પૂજાની સવિશેષ મહત્તા છે. મોટાભાગના પરિવારોમાં અન્ય કોઈ છોડ હોય કે ન હોય, પરંતુ, તુલસીનો છોડ તો હોય જ છે. કહે છે કે જે ઘરની સવાર તુલસી પૂજાથી થતી હોય છે, તે ઘર પર તો તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ ઉતરતા જ રહે છે. અને સુખ-સમૃદ્ધિ સદૈવ સ્થિર રહે છે. અલબત્, ઘણી વખત એવું બને છે કે ઘરમાં અનેકવાર તુલસીનો છોડ રોપવા છતાં તુલસીજી ઉગતા જ નથી ! છોડ બરાબર નિયમ અનુસાર રોપ્યો હોય, તેની દિલથી સમયાંતરે કાળજી પણ લેવાતી હોય, તેને પ્રમાણ પૂરતું જળ અર્પણ કરવામાં આવતું હોય, તો પણ એવું બને છે કે તુલસીનો છોડ સૂકાઈ જ જાય છે. જો તમારા ઘરમાં પણ આવું જ થતું હોય તો આ ઉપાયો આપના માટે જ છે. આવો, આજે તે વિશે વિગતવાર સમજીએ.
કેમ નથી ઉગતો તુલસીનો છોડ ?
ઘરમાં જો તુલસીનો છોડ ન ઉગતો હોય, તો તેનું સૌથી મોટું કારણ હોઈ શકે છે પિતૃદોષ. આ સિવાય જો પરિવારમાં સંતતિ સંબંધી સમસ્યાઓ સતાવતી હોય, નિયમિત પૂજા-પાઠનું આયોજન ન થતું હોય અથવા તો સતત કલેશ રહેતો હોય, તો તેના લીધે પણ તુલસીનો છોડ સૂકાઈ જતો હોય છે. જે ઘર સતત આવી કોઈ સમસ્યાઓથી ઘેરાયેલું રહેતું હોય છે, ત્યાં ઘણી માવજત છતાં તુલસીનો છોડ સૂકાઈ જ જતો હોય છે. આ સંજોગોમાં એક ખાસ ઉપાય અજમાવવો ખૂબ જ જરૂરી બની જાય છે.
તુલસી ઉગાડવાનો ઉપાય
જે ઘરમાં તુલસીજી ન ઉગતા હોય તે ઘરમાં પિતૃઓના મોક્ષાર્થે ત્રિપિંડી શ્રાદ્ધ કે નારાયણ બલી કરાવવા જોઈએ. શક્ય હોય તો ગયા શ્રાદ્ધ કરાવવું જોઈએ. ત્યારબાદ કોઇ કુંવારી કન્યા પાસે તુલસીજીનો છોડ રોપાવવો જોઈએ. માન્યતા અનુસાર આ પ્રયોગથી તુલસીજીનો છોડ ખૂબ જ સારી રીતે ઉગશે.
તુલસીનું પાન તોડતા પહેલાં યાદ રાખો આ વાત
ઘરમાં તુલસીનો છોડ હોય અને તેના પર ખૂબ બધાં તુલસીદળ હોય તો મન તેને જોઈને જ પ્રફુલ્લિત થઈ જાય છે. સાથે જ વ્યક્તિને તુલસીદળ તોડીને હાથમાં લેવાની ઈચ્છા થઈ જાય છે. પરંતુ, તમે જ્યારે ભગવાન માટે કે પછી ઔષધિય પ્રયોગ માટે પણ જો તુલસીપત્ર તોડી રહ્યા હોવ, તો કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તુલસીદળને તોડવાના પણ કેટલાંક ખાસ નિયમો છે. અને દ્રઢતાપૂર્વક તેનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.
⦁ ક્યારેય સ્નાન કર્યા વિના તુલસીના પાન ન તોડવા જોઈએ.
⦁ અંધારામાં પણ તુલસીના પાન ન તોડવા જોઈએ.
⦁ રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ.
⦁ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, દ્વાદશી, તેમજ સંક્રાન્તિના દિવસે પણ તુલસીના પાન ન તોડવા જોઇએ.
⦁ જો તમારે તુલસીના પાનનો કોઇ ઉપયોગ ન કરવાનો હોય તો તેને બિલ્કુલ જ ન તોડવા જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)