Anant Chaturdashi 2021: જાણો ત્રણ શુભ રંગ, વિસર્જન પૂર્વે આ રંગ દ્વારા પૂજનથી શ્રીગણેશ થશે પ્રસન્ન !

દરેક ભક્તની એવી જ ઈચ્છા હોય છે કે ગજાનન શ્રીગણેશ પ્રસન્નચિત્ત સાથે ઘરેથી વિદાય લે. એટલે જ વિદાય પૂર્વે ભક્તો વક્રતુંડની વિશેષ પૂજા કરે છે. એમાં પણ કહે છે કે લંબોદરને પ્રિય એવાં રંગથી જો તેમની પૂજા કરવામાં આવે તો તે વધારે જ ખુશ થાય છે.

Anant Chaturdashi 2021: જાણો ત્રણ શુભ રંગ, વિસર્જન પૂર્વે આ રંગ દ્વારા પૂજનથી શ્રીગણેશ થશે પ્રસન્ન !
લંબોદરને અત્યંત પ્રિય છે લાલ રંગ !
| Edited By: | Updated on: Sep 18, 2021 | 10:55 AM

મંગળકારી ગણેશોત્સવ (Ganesh Utsava) પૂર્ણાહુતિના આરે પણ પહોંચી ચૂક્યો છે. આ વર્ષે અનંત ચતુર્દશી (Anant Chaturdashi) 19 સપ્ટેમ્બર, 2021ના રોજ છે. ભક્તો ભાવથી ભરેલાં હૃદય સાથે અને ભીની આંખો સાથે વક્રતુંડને વિદાય આપતા હોય છે. પણ, તે પહેલાં શ્રીગણેશજીની વિશેષ પૂજા કરતા હોય છે. ત્યારે આજે આપણે પણ વિસર્જન પૂર્વેની જ વિશેષ પૂજા વિશે વાત કરવી છે.

દરેક ભક્તની એવી જ ઈચ્છા હોય છે કે ગજાનન શ્રીગણેશ પ્રસન્નચિત્ત સાથે ઘરેથી વિદાય લે. પ્રસન્ન ગણેશજી તો યજમાનને પણ પ્રસન્નતાના આશિષ પ્રદાન કરે છે. એટલે જ વિદાય પૂર્વે ભક્તો વક્રતુંડની વિશેષ પૂજા કરે છે. એમાં પણ કહે છે કે જો લંબોદરને પ્રિય એવાં રંગથી તેમની પૂજા કરવામાં આવે તો તે વધારે જ ખુશ થાય છે. ત્યારે આવો જાણીએ કે, વિસર્જનના દિવસે પૂજામાં કયા રંગનો પ્રયોગ કરી તમે એકદંતાને રીઝવી શકશો.

લાલ રંગથી રીઝશે લંબોદર !
લાલ રંગ એ સૌથી શુભ અને પવિત્ર મનાય છે. એ જ કારણ છે, કે મોટાભાગે શુભકાર્યોમાં લોકો લાલ રંગના વસ્ત્ર ધારણ કરે છે. તો, વિશેષ અવસરો પર પૂજા સ્થાનને પણ લાલ રંગથી જ સજાવવામાં આવે છે. લાલ રંગ નસીબ, ઉત્સાહ, હિંમત અને નવું જીવન સૂચવે છે. લાલ રંગના આ મહત્વને કારણે જ ગજાનન ગણેશજીને પણ લાલ રંગ અત્યંત પ્રિય મનાય છે.

તેથી ગણેશજીની પૂજામાં લાલ રંગનો પ્રયોગ કરવો જોઈએ. અનંત ચતુર્દશીના દિવસની પૂજામાં તમે ગણેશજીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરાવી શકો છો. આ દિવસે તેમને લાલ રંગના ફૂલ અર્પણ કરવા. શક્ય હોય તો જાસૂદનું. કારણ કે જાસૂદ શ્રીગણેશને અત્યંત પ્રિય મનાય છે. એટલું જ નહીં, વક્રતુંડની વિશેષ કૃપા અર્થે પૂજા સમયે તમે પણ લાલ રંગના વસ્ત્ર ધારણ કરી શકો છો.

પીળા રંગથી પ્રસન્ન થશે પાર્વતીનંદન !
સનાતન ધર્મમાં પીળા રંગનું આગવું જ મહત્વ છે. પીળો રંગ ગુરુ અને સૂર્ય જેવાં ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. એ જ કારણ છે કે કોઈપણ પ્રકારના શુભકાર્ય અને પૂજામાં આ રંગનો પ્રયોગ થાય છે. પીળો રંગ વ્યક્તિની કુંડળીમાં રહેલા ગુરુને અને ભાગ્યને જાગ્રત કરે છે. શ્રીહરિ અને ગણેશજી સહિત તમામ દેવતાઓ પણ પીતામ્બર ધારણ કરે છે. ત્યારે પીળા રંગના આ મહત્વને જોતા ગણેશજીની પૂજામાં પીળા રંગનો પ્રયોગ પણ લાભદાયી બની રહેશે. એટલે અનંત ચૌદસે ગણેશજીને પીળા વસ્ત્ર ધારણ કરાવી, પીળા રંગના પુષ્પ અર્પણ કરવા.

લીલાશ લાવશે જીવનમાં મીઠાશ !
ગણેશોત્સવના અંતિમ દિવસે તમે પૂજામાં લીલા રંગનો પ્રયોગ પણ કરી શકો છો. લીલો રંગ એ પ્રકૃતિનો રંગ છે. તે આપણને ઠંડક, તાજગી, આત્મવિશ્વાસ, સુખ અને સકારાત્મકતાની અનુભૂતિ કરાવે છે. તેના આ મહત્વને કારણે જ આ રંગ ન માત્ર વક્રતુંડને, પરંતુ, ગૌરીશંકરને પણ અત્યંત પ્રિય મનાય છે. કદાચ એ જ કારણને લીધે વિઘ્નહર્તાને લીલી દૂર્વા અર્પણ કરવાનો સવિશેષ મહિમા છે. એટલે જ અનંત ચતુર્દશીએ વિઘ્નહર્તાને દૂર્વા તો ચોક્કસથી અર્પણ કરવી જ. સાથે જ તમે પ્રભુને લીલા રંગના શણગાર પણ કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ રાજા જનકના કયા અહંકારને તોડવા ગણેશજીએ લીધો બ્રાહ્મણનો વેશ ? જાણો રસપ્રદ કથા
આ પણ વાંચોઃ જાણો જયપુરના મોતી ડૂંગરી ગણેશજીનો મહિમા, લાડુના પ્રસાદથી પ્રસન્ન થાય છે આ એકદંતા