આઈડીબીઆઈ બેંકમાં 51 ટકાથી વધુ હિસ્સો લેવા માટે ભારત સરકાર વિદેશી ભંડોળ અને રોકાણ ભંડોળના કન્સોર્ટિયમને મંજૂરી આપશે. સરકારે આ અંગેના નિયમો અંગે સ્પષ્ટતા રજૂ કરી છે. રિઝર્વ બેંકની વર્તમાન માર્ગદર્શિકામાં નવી ખાનગી બેંકમાં વિદેશી હિસ્સા અંગે નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જો કે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે કે દીપમે રોકાણકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સ્પષ્ટતા કરી છે કે આરબીઆઈના પ્રમોટર્સ સંબંધિત નિયમો ફક્ત નવી બેંકોને જ લાગુ પડે છે. આ ઉપરાંત તેઓ IDBI બેંક જેવી પહેલેથી જ રચાયેલી બેંકોને લાગુ પડશે નહીં. આ સાથે સરકાર અને રિઝર્વ બેંક એવી સ્થિતિમાં શેરો માટે 5 વર્ષના લોક-ઇન પિરિયડના નિયમમાં રાહત આપવાનું પણ વિચારી રહી છે જ્યાં એક NBFCનું IDBI બેંક સાથે મર્જર થાય છે.
સરકાર તરફથી આ સ્પષ્ટતા રોકાણકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આવી છે. સરકારે IDBI બેંકમાં બહુમતી હિસ્સો વેચવા માટે 16 ડિસેમ્બર સુધીમાં EOI માંગી છે. IDBI બેંકમાં LIC અને IDBI બેંકનો કુલ 94.71 ટકા હિસ્સો છે અને સરકાર લગભગ 61 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. આ EOI 180 દિવસ માટે માન્ય છે. જો કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સમયગાળો હજુ પણ લંબાવી શકાય છે.
સરકાર આગામી વર્ષના માર્ચ સુધીમાં IDBI બેંક માટે નાણાકીય બિડ મેળવવાની અને એપ્રિલ 2023 થી શરૂ થતા આવતા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ખાનગીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવાની આશા રાખે છે. તે જ સમયે, સરકારે સ્પષ્ટ કર્યું કે હિસ્સો વેચ્યા પછી પણ, IDBI બેંકને ભારતની ખાનગી ક્ષેત્રની બેંક તરીકે ગણવામાં આવશે અને સરકારનો બાકીનો હિસ્સો જાહેર શેરહોલ્ડિંગ તરીકે ગણવામાં આવશે.
આઈડીબીઆઈ બેંકની સાથે સરકારે ઘણી કંપનીઓના ખાનગીકરણની યોજના બનાવી છે. તેમાં શિપિંગ કોર્પોરેશન, કોનકોર, વિઝાગ સ્ટીલ, એચએલએલ લાઇફકેર વગેરેનો સમાવેશ થાય છે. સરકારે 2022-23માં સરકારી કંપનીઓના વ્યૂહાત્મક વેચાણ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 24,000 કરોડ એકત્ર કર્યા છે.
સરકારે બજેટ 2021માં જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. હજુ સુધી આ દિશામાં પણ કંઈ કરવામાં આવ્યું નથી. એવું માનવામાં આવે છે કે સરકારે IDBI બેંકમાં હિસ્સો વેચવા માટે અપનાવેલા મોડલનો ઉપયોગ આ બંને બેંકોના ખાનગીકરણમાં પણ થઈ શકે છે.