New Feature: ટુ-વ્હીલર પરથી ‘લપસી જવા’નો ડર દૂર થશે ! આ ફીચર મહત્ત્વનું, અકસ્માતો હવે ઓછા થશે

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા જલ્દી જ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે. વાત એમ છે કે, જાન્યુઆરી 2026થી ભારતમાં બનનારા તમામ નવા ટુ-વ્હીલરમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) લગાડવામાં આવશે.

New Feature: ટુ-વ્હીલર પરથી લપસી જવાનો ડર દૂર થશે ! આ ફીચર મહત્ત્વનું, અકસ્માતો હવે ઓછા થશે
| Updated on: Jun 20, 2025 | 6:16 PM

રસ્તા પર ટુ વ્હીલર ચાલકોની સલામતી હંમેશા એક મોટો પડકાર બનીને સામે આવી છે. જો કે, હવે સરકાર આ અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. દેશમાં વધી રહેલા એક્સિડન્ટોને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં તમામ ટુ વ્હીલરમાં એક ફીચર ઉમેરવાની તૈયારી કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એક નવું નોટિફિકેશન બહાર પાડવાની તૈયારીમાં છે. સરળ શબ્દોમાં કહીએ તો, જાન્યુઆરી 2026થી ભારતમાં બનનારા તમામ નવા ટુ-વ્હીલરમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) હોવી જરૂરી છે. એન્જિન ક્ષમતા ભલે ગમે તેટલી હોય પણ બધામાં ABS તો ફરજિયાત રહેશે.

ABS એ છે શું?

ABS એ વાહનમાં આપવામાં આવતું મહત્વપૂર્ણ સેફ્ટી ફીચર છે. જ્યારે તમે અચાનક બ્રેક લગાવો છો ત્યારે ટાયર લોક થઈ જાય છે, જેથી વાહન લપસવાનું જોખમ રહે છે પરંતુ ABS આવી સ્થિતિમાં ટાયરને લોક થવાથી બચાવે છે. પરિણામે, વાહનનું સંતુલન જળવાઈ રહે છે અને ડ્રાઈવર પર નિયંત્રણમાં રહે છે.

ABS કેવી રીતે કામ કરે છે?

  1. ABSમાં ચોક્કસ સેન્સર અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU) હોય છે જે ટાયરની ગતિ પર સતત નજર રાખે છે. જેમ જેમ તમે બ્રેક લગાવો છો, તેમ તેમ સેન્સર ટાયરની ગતિ પર નજર રાખે છે.
  2. જો કોઈ ટાયર અચાનક લોક થવા લાગે છે, તો ABS તે ટાયર પરનું બ્રેક પ્રેશર ઘટાડે છે. બાઇક જ્યારે ફરીથી સંતુલનમાં આવે ત્યારે સિસ્ટમ તરત જ બ્રેક લગાવે છે.
  3. આ પ્રક્રિયા દર સેકન્ડમાં અનેક વખત થાય છે, જેના કારણે ટાયર લપસતા નથી અને ભલે બ્રેક ગમે તેટલી પણ જોરથી લગાવવામાં આવી હોય રાઈડરનું બાઈક પર નિયંત્રણ યથાવત રહે છે.
  4. જણાવી દઈએ કે, ABS બે પ્રકારના હોય છે. પહેલું સિંગલ ચેનલ ABS છે, જેમાં તે ફક્ત આગળના વ્હીલ પર જ કામ કરે છે. આ ઉપરાંત, ડ્યુઅલ ચેનલ ABS છે, જેમાં તે આગળના અને પાછળના બંને વ્હીલ પર કામ કરે છે.

ABSનો નિયમ શું છે?

હાલમાં, ABS ફક્ત 125cc થી વધુ એન્જિન ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર માટે ફરજિયાત છે. આનો અર્થ એ થયો કે, દેશમાં વેચાતી લગભગ 45% બાઇકોમાં આ સુવિધા નથી. આનું કારણ એ છે કે, 125cc થી ઓછા એન્જિનવાળા બાઇક, જેમ કે હીરો સ્પ્લેન્ડર, હોન્ડા શાઇન, ટીવીએસ સ્પોર્ટ અને બજાજ પ્લેટિના, ભારતીય બજારમાં ખૂબ વેચાય છે.

નવા નિયમ આવતાની સાથે, આ સુવિધા દરેક બાઇક અને મોટરસાઇકલમાં ઉપલબ્ધ થશે. મોટાભાગના વાહનો 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, તેથી આ ફીચર અકસ્માત ઘટાડવામાં ઘણી મદદ કરશે.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.