
રસ્તા પર ટુ વ્હીલર ચાલકોની સલામતી હંમેશા એક મોટો પડકાર બનીને સામે આવી છે. જો કે, હવે સરકાર આ અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. દેશમાં વધી રહેલા એક્સિડન્ટોને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં તમામ ટુ વ્હીલરમાં એક ફીચર ઉમેરવાની તૈયારી કરી રહી છે.
રિપોર્ટ અનુસાર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એક નવું નોટિફિકેશન બહાર પાડવાની તૈયારીમાં છે. સરળ શબ્દોમાં કહીએ તો, જાન્યુઆરી 2026થી ભારતમાં બનનારા તમામ નવા ટુ-વ્હીલરમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) હોવી જરૂરી છે. એન્જિન ક્ષમતા ભલે ગમે તેટલી હોય પણ બધામાં ABS તો ફરજિયાત રહેશે.
ABS એ વાહનમાં આપવામાં આવતું મહત્વપૂર્ણ સેફ્ટી ફીચર છે. જ્યારે તમે અચાનક બ્રેક લગાવો છો ત્યારે ટાયર લોક થઈ જાય છે, જેથી વાહન લપસવાનું જોખમ રહે છે પરંતુ ABS આવી સ્થિતિમાં ટાયરને લોક થવાથી બચાવે છે. પરિણામે, વાહનનું સંતુલન જળવાઈ રહે છે અને ડ્રાઈવર પર નિયંત્રણમાં રહે છે.
હાલમાં, ABS ફક્ત 125cc થી વધુ એન્જિન ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર માટે ફરજિયાત છે. આનો અર્થ એ થયો કે, દેશમાં વેચાતી લગભગ 45% બાઇકોમાં આ સુવિધા નથી. આનું કારણ એ છે કે, 125cc થી ઓછા એન્જિનવાળા બાઇક, જેમ કે હીરો સ્પ્લેન્ડર, હોન્ડા શાઇન, ટીવીએસ સ્પોર્ટ અને બજાજ પ્લેટિના, ભારતીય બજારમાં ખૂબ વેચાય છે.
નવા નિયમ આવતાની સાથે, આ સુવિધા દરેક બાઇક અને મોટરસાઇકલમાં ઉપલબ્ધ થશે. મોટાભાગના વાહનો 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, તેથી આ ફીચર અકસ્માત ઘટાડવામાં ઘણી મદદ કરશે.