મહારાષ્ટ્રના પુણેમાં એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા હતા. આ ઘટના પુણેના પિંપરી ચિંચવડ શહેરમાં તલવાડે વિસ્તારમાં એક વેરહાઉસમાં આગ લાગી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.
મળતી માહિતી મુજબ આ ઘટનામાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ કેમ અને કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ તેની તપાસ શરૂ કરી રહી છે.
ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો કે ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ગેરકાયદેસર રીતે ચાલતી હતી. આ ફેક્ટરીમાં જન્મદિવસની મીણબત્તીઓ બનાવવામાં આવતી હતી.