ભારે હિમવર્ષાને કારણે જનજીવન થયું પ્રભાવિત, રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ

|

Feb 05, 2024 | 12:05 PM

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કાશ્મીરમાં હિમસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે.

પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, વાહનોની અવરજવર માટે વિવિધ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા.

ટ્રાફિક લગભગ ચાર કલાક સુધી ખોરવાઈ ગયો

પીટીઆઈ એજન્સીના જણાવ્યા અનુસાર, હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં સવારે 11.15 વાગ્યે ભૂસ્ખલનને કારણે 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક લગભગ ચાર કલાક સુધી ખોરવાઈ ગયો હતો.

રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ

ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ, ઔલી, દેહરાદૂનના ચકરાતા અને ઉત્તરકાશી જિલ્લાના ચૌરાંગીખાલ અને નચિકેતા તાલમાં હિમવર્ષા થઈ હતી. આ સિવાય શનિવારે રાત્રે દેહરાદૂન સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો.

Next Video