રાજકોટમાં (Rajkot Latest News) લેવાયેલી PGVCLના જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા વિવાદમાં આવી છે. ઉમેદવારોનો દાવો છે કે, 20 જેટલા પરીક્ષાર્થીઓને જે પેપર આપવામાં આવ્યું હતું તે પેપરનું સીલ પહેલાંથી જ તૂટેલું હતું. જેથી પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ સાથે જ યોગ્ય તપાસની માગણી કરી છે. આ મુદ્દે સંસ્થાએ ઉમેદવારોની રજૂઆત સાંભળી ઉમેદવારોના રોલ નંબર અને સહી લીધી છે. સાથે જ આગળ કાર્યવાહીની કરવાની ખાતરી આપી છે. મહત્વનું છે કે, વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની 57 જગ્યા માટે કુલ 35 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી છે.
આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ નેતા નિદ્દત બારોટે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે, કોઈ પરીક્ષામાં આવો બનાવ બને ત્યારે કડક પગલા લેવામાં આવતા નથી. આ માટે સરકારની નિયત નથી. વિદ્યાર્થીઓએ પેપરનુ સીલ તુટેલું હોવાની રાવ કરતા સંસ્થાએ હાથ ખંખેરી લીધા હતા અને કહ્યું હતું કે, આ માટે સંસ્થા જવાબદાર નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈને કોઈ વિવાદમાં આવતી રહે છે. ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે, વિવાદીત પરીક્ષાઓની તપાસ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે.