Narmada: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગે તે પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ મતદાતાઓને આકર્ષવા એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ જ્ઞાતિ-જાતિના સમીકરણો પર કામ કરી રહી છે. એવા સમયે ભાજપ પણ આદિવાસી મતદાતાઓને રિઝવવા સંપૂર્ણ જોર લગાવી રહી છે. આજથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નર્મદા જિલ્લાના પ્રવાસે છે. નર્મદામાં પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના અતંર્ગત વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. પેજ સમિતિ સંમેલનમાં સંબોધતા સી આર પાટીલે 2 વિધાનસભામાં 50 હજાર મતોથી બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં 25 હજાર જેટલા સભ્યો હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે, આદિવાસી મતો અંકે કરવા સી.આર.પાટીલે પોતે જ મોરચો સંભાળ્યો છે. ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લો BTPનો ગઢ માનવામાં આવે છે. અને વર્ષોથી આ વિસ્તારની બેઠક પર BTPનો કબજો છે. ત્યારે 182ના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપે આવી આદિવાસી બેઠકો વધુ મહેનત શરૂ કરી છે. આદિવાસી જ્ઞાતિનાગણિત પર નજર કરીએ તો 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓનું 38 બેઠકો પર પ્રભુત્વ છે. જેમાં રાજ્યનો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે. એટલે કે આદિવાસી પૂર્વ પટ્ટીના 14 જિલ્લા ભાજપનું 182 બેઠકોનું સપનું સાકાર કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે 27 અનામત બેઠકોમાંથી 15 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠકો પર BTPનો કબજો છે. જ્યારે ભાજપ પાસે માત્ર 9 બેઠકો જ છે. ત્યારે BTPના ગઢમાં ગાબડુ પાડી નર્મદાની 2 બેઠકો અંકે કરવા ભાજપની નજર છે.