ARVALLI : રાજ્યના ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડના આરોપોની હવે ખરાઈ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાક્રમમાં પોલીસે પ્રો.અરવિંદ પટેલની અટકાયત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે આ મામલે પ્રો.અરવિંદ પટેલની અટકાયત કરી તેની પૂછપરછ કરી છે. જો કે આ પૂછપરછમાં અરવિંદ પટેલે પોતાના પરના તમામ આરોપો ફગાવી દીધા છે અને આરોપોને નકારી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ અંગે યુવરાજસિંહ જાડેજાએ કેટલાક નામોના ખુલાસા કર્યા હતા. યુવરાજ સિંહનું કહેવું છે કે બાયડમાં ટ્યુશન ચલાવતો અવધેશ પટેલ કૌભાંડ ચલાવે છે. તો ધવલ પટેલ, કુશાંગ પટેલ, હિતેશ પટેલ, બાબુ પટેલ, જિગીશા પટેલે ભરતીનો લાભ લીધો હોવાનો આક્ષેપ છે. જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લેવાનો આક્ષેપ છે.
અવધેશ પટેલ સાથે અરવિંદ પટેલનું પણ નામ સામે આવ્યું હતું.તો અરવિંદ પટેલ બાદ હવે આ મામલે વધુ લોકોની પણ અટકાયત કરવામાં આવી શકે છે, જે નામો યુવરાજસિંહ જાડેજાએ જાહેર કર્યા હતા.
પણ આ કથિત ભરતી કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર એ પણ સામે આવ્યાં છે કે હવે મુખ્યપ્રધાન કક્ષાએથી આ કૌભાંડની તપાસના આદેશ થયા છે. આ કથિત ભરતી કૌભાંડ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંજ્ઞાન લઈને આ તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો : વધુ એક ભરતીમાં કૌભાંડના આક્ષેપો: યુવરાજ સિંહના સણસણતા સવાલ, એક જ ગામના 18 યુવાનોને નોકરી કેવી રીતે મળી?