રાજકોટના (Rajkot Latest News) નવનિયુક્ત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પાસપોર્ટ તોડકાંડમાં ગંભીરતાથી લઇ તોડ કરનાર પોલીસમેન મયૂરને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કર્યા છે. DCP ક્રાઇમના પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસમેન મયુરને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. જયારે વચેટીયા મિત્ર શેખર સામે પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ પહેલા પણ કેટલા લોકો આ પ્રકારનો ભોગ બન્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ ઘટના પ્રકાશમાં આવશે તો ચોક્કસપણે કડક પગલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલિસની છબી અગાઉના તોડકાંડના વિવાદોને લઈને ખરડાયેલી છે ત્યારે આ પ્રકારે લાંચની ઘટના ખૂબ જ ગંભીર બાબત છે. જેને ધ્યાનમાં લઈને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ શહેરના મિલપરા વિસ્તારમાં રહેતા ટ્રાવેલ્સ એજન્ટ સંદીપ રાણપરાએ તેમના ગ્રાહકની પાસપોર્ટ અરજી કરી હતી. ત્યાં ફરજ બજાવતા પોલીસમેન મયૂરે બદઇરાદે વેરિફિકેશન અટકાવી દીધું હતું અને ટ્રાવેલ્સ એજન્ટ સંદીપને બોલાવી સેટિંગ થશે તો કામ થશે તેવું કહ્યું હતું. બાદમાં પાસપોર્ટ વિભાગના પોલીસમેન મયૂરે તોડકાંડમાં તેના મિત્ર શેખરને સાથે રાખ્યો હતો.
શરૂઆતમાં રૂપિયા 4500ની અને ત્યારબાદ તેના વચેટીયા શેખરે અરજદાર સંદીપ રાણપરા પાસે રૂપિયા 20 હજારની માગ કરી હતી અને તે પૈકીના રૂપિયા 10 હજાર પોલીસમેન મયૂરે વસૂલ્યા હતા. હજુ આગામી દિવસોમાં મયૂર અને શેખરે મળી આ અગાઉ કેટલા લોકો પાસેથી તોડ કર્યો હતો તેની પણ તપાસ થશે.
Published On - 3:23 pm, Sat, 28 May 22