Navsari: નવસારીના વાંસદા તાલુકામાં ભ્રષ્ટાચારનો નેશનલ હાઇવે-56 ધોવાતા વાહનચાલકો પરેશાન થયા હતા. ભારે વરસાદને પગલે વાડીચોંઢા ગામ નજીક હાઇવેનું ધોવાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટીએ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. હાલ હાઈવે બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાઈવે પર પડેલા ખાડાના કારણે બે બાઈકચાલકો ખાડામાં પટકાયા હતા. જયાં એક બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હાઈવે પર ધોવાણથી અકસ્માતની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય અનંત પટેલે અનેક આંદોલનો કરી હાઇવે ઓથોરિટીની આંખો ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો. છતાં હાઇવે ઓથોરિટીએ ધારાસભ્યની રજૂઆતને ધ્યાન ન આપતા ભ્રષ્ટાચારના હાઈવેનું ધોવાણ થયું છે.
24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 24 કલાક એટલે કે 15 સપ્ટેમ્બર 2022 સવારે 6 કલાકથી 16 સપ્ટેમ્બર 2022 સવારે 6 કલાક સુધીમાં નવસારીના વાંસદામાં છ ઇંચ, ખેરગામમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. નવસારીના ચીખલી અને ગણદેવીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી ફરીવાર નવસારી પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો હતો.