Jamnagar: લમ્પી વાયરસથી ગાયને બચાવવા ધરણા, મનપાની ઢીલી કામગીરી સામે રોષ

|

May 25, 2022 | 6:59 PM

જામનગરમાં (Jamnagar) લમ્પી વાયરસથી ગાયને બચાવવા અને રસી મુકવા માટે વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટરે માગ કરી છે. શહેરમાં 95 ગાયના મોત અંગે તંત્રના ચોપડે લમ્પી વાયરસથી એક જ ગાયનો મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવતા કોર્પોરેટરે ધરણા યોજયા હતા.

જામનગરમાં (Jamnagar) લમ્પી વાયરસથી ગાયને બચાવવા અને રસી મુકવા માટે વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટરે માગ કરી છે. શહેરમાં 95 ગાયના મોત અંગે તંત્રના ચોપડે લમ્પી વાયરસથી એક જ ગાયનો મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવતા કોર્પોરેટરે ધરણા યોજયા હતા. ગાયોના વેક્સિનેશનની માંગ સાથે મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ ગૌપ્રેમીઓને સાથે રાખી લાલબંગલા સર્કલ પાસે વિરોધ નોંધાવ્યો હતો. જયાં બેનરો સાથે મનપાના તંત્રની ઢીલી કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો.

સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, ખંભાળિયા બાદ હવે ધ્રોલમાં પણ લમ્પી વાયરસના કેસ સામે આવતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. ધ્રોલમાં 3 ગાયમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યા છે. આ સાથે જ જામનગર જિલ્લામાં લમ્પી વાયરસના 214 કેસ થયા છે. જ્યારે એક ગાયનું વાયરસથી મોત થયું. તો 2342 ગાયને રસી આપવામાં આવી. દ્વારકા જિલ્લામાં માં 285 ગાય બાદ હવે ખંભાળિયામાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યાં છે. આ વાયરસ સૌરાષ્ટ્રમાં ધીરે-ધીરે પ્રસરી રહ્યો છે. ત્યારે સેવાકીય સંસ્થાઓ અને ગૌ-પ્રેમીઓ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ આરોગ્ય તંત્ર કોઈ રોગચાળો ન હોવાનું જણાવે છે. આરોગ્ય તંત્રના સબ સલામતના અભિગમથી પશુપાલકોની વધી ચિંતા છે. લમ્પી વાયરસ વધુ ન પ્રસરે તે માટે તંત્ર તાત્કાલિક પગલા લે તેવી પશુપાલકોની માગ છે.

લમ્પી વાયરસના લક્ષણો પર નજર કરીએ તો પશુના શરીર પર મોટા ફોડલા થવા લાગે છે. આ ઉપરાંત તાવ અને પગમાં સોજા આવેલી ગયેલા દેખાય છે. પશુઓ ખોરાક લઈ શકતા નથી. અને નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવા લાગે છે. આ ઉપરાંત પશુ લાંબા સમય સુધી સ્થિર ઉભું રહેલું જોવા મળે છે. આ તમામ લક્ષણો શરૂઆતમાં ભલે જીવલેણ ન હોય. પરંતુ ચારથી પાંચ દિવસ સુધીમાં યોગ્ય સારવાર ન મળે તો લમ્પી વાયરસ જીવ લઈ શકે છે. મહત્વનું છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંન્ને જીલ્લામાં લમ્પી વાયરસની અસર ગાયમાં જોવા મળી છે.

Published On - 6:59 pm, Wed, 25 May 22

Next Video