દાહોદના સંજેલી તાલુકામાં આવેલા જસુણી ગામે આશ્રમશાળામાં શિક્ષણ સહાયકની ભરતીમાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. શિક્ષણ સહાયકની નિમણૂક માટે શાળાના સંચાલક મંડળના સભ્યએ નોકરી ઇચ્છુક ઉમેદવાર પાસેથી 25થી 35 લાખ માગ્યાનો કથિત ઓડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
શિક્ષણ સહાયકની ભરતી માટે 1 માર્ચે સંસ્થામાં ઇન્ટરવ્યુ યોજાયા હતા. જો કે આશ્રમ શાળાના સંચાલકોએ આ પ્રકારની ગેરરીતિ ન થયાનો દાવો કર્યો છે. સંપૂર્ણ પારદર્શિત રીતે ભરતી પ્રક્રિયા કરાઇ હોવાનો દાવો શાળાના હોદ્દેદારો કરી રહ્યા છે. આશ્રમ શાળાના સંચાલકોએ ઘટનાને આશ્રમ શાળાને બદનામ કરવાનું કાવતરૂં ગણાવી હતી. એક તરફ સંચાલકો ભરતીમાં કૌભાંડ થયું હોવાને નકારી રહ્યા છે, તો બીજી તરફ આ ઓડિયો ક્લિપને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. હવે આ મામલે વધુ માહિતી તપાસ બાદ જ સામે આવશે.