Valsad: એક તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બીજી તરફ પૂર અસરગ્રસ્તોને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. વિપક્ષના નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. કોંગ્રેસ પ્રતિનિધિમંડળે દરિયા કિનારે આવેલા મોટી દાંતી ગામની મુલાકાત લઈ લોકોની ફરિયાદો સાંભળી હતી. સુખરામ રાઠવાએ કહ્યું, પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળે તે માટે તેઓ સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરશે. બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે, દરિયાઈ પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં ઘરવખરીને ભારે નુકસાન થાય છે. અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે.
ગુજરાતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી થતા તંત્રએ પાક નુકસાનીનો સરવે હાથ ધર્યો છે. રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત 8 જિલ્લાના 38 તાલુકામાં કૃષિ પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરતમાં પાકને ફટકો પડ્યો છે. તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પાકને અસર થઈ છે. રાજ્ય સરકારની 120 ટીમે 29,800 હેક્ટર જમીનમાં પાક નુકસાનીનો સરવે પૂર્ણ કરી લીધો છે. તો વરસાદી પાણી જ્યાં ભરાયેલા છે ત્યાં ઓસર્યા બાદ પાક નુકસાની સરવે હાથ ધરાશે. આ સરવેનું કામ પૂર્ણ થયા બાદ સરકારી ધારાધોરણો પ્રમાણે સહાયની ચુકવણી કરાશે.