સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરીથી તંત્રની સાથે સાથે હવે ઐતિહાસિક ધરોહરને પણ નુકસાન થતું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ઐતિહાસિક સુરજદેવળ મંદિરની આસપાસ થતી ગેરકાયદે ખનીજ ચોરીથી મંદિરને નુકસાન થયુ હોવાનો સ્થાનિક આગેવાન આક્ષેપ કરી રહ્યા છે. આ સાથે સ્થાનિક આગેવાને આક્ષેપ કરતા જણાવ્યુ છે કે ઐતિહાસિક સુરજદેવળ મંદિરની આસપાસ ખરાબાની જમીનમાં ભૂમાફીયાઓ બ્લાસ્ટ કરી ખનીજ ચોરી કરે છે. જેના કારણે ઐતિહાસિક મંદિરને નુકસાન થાય છે. મહત્વપૂર્ણ છે કે સ્થાનિક આગેવાનોએ આ મામલે મામલતદાર, ખાણ-ખનીજ વિભાગને પણ લેખીત રજૂઆત કરી છે.
સુરજદેવળ મંદિર થાનગઢ નજીક આવેલુ છે. જે જૂના સુરજદેવળ મંદિરથી ઓળખાય છે. તેની ચારેય દિશાઓમાં ખનિજનું ખોદકામ ચાલી રહ્યુ છે. આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી. જેમા પુરાતત્વ વિભાગની ગાઈડલાઈન અનુસાર 500 મીટર સુધી ખોદકામ ન કરી શકાય. જો કે હવે અધિકારીઓ એવુ જણાવી રહ્યા છે કે 200 મીટર સુધી ખોદકામ ન કરી શકાય.
થાન મામલતદારે પણ એવુ જણાવ્યુ કે 200 મીટર સુધી ખોદકામ ન કરી શકે. હકીકતમાં પુરાતત્વ વિભાગની ગાઈડલાઈન 500 મીટર સુધીની છે. તે અંગે પણ ચકાસણી કરવામાં આવતી નથી. આ ખોદકામને કારણે મંદિરને પણ નુકસાન થવાની ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે.
Published On - 9:42 pm, Sun, 8 January 23