દિલ્હીમાં આગામી 16 અને 17 જાન્યુઆરીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળવાની છે. આ કારોબારી બેઠકમાં મિશન 2024 માટે મહત્વની ચર્ચા થશે. તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને સંગઠન મહામંત્રી હાજર રહેવાના છે. તો ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ હાજર રહેવાના છે. આ કારોબારીમાં લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોમાં કેન્દ્રિય પ્રધાનોને જવાબદારી સોંપાશે. રાષ્ટ્રીય કારોબારી બાદ સરકાર અને સંગઠનમાં ધરખમ ફેરફારો થઇ શકે છે. તો સાથે જ ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે તેવી પણ શક્યતા છે.
2023માં 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ તમામની વચ્ચે રાષ્ટ્રીય સંગઠન અને કેન્દ્ર સરકારમાં ધરખમ ફેરફાર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે ભાજપની વાત કરવામાં આવે તો તે હંમેશા મુહૂર્ત અને કમુહૂર્તમાં માનતુ હોય છે. ત્યારે 15 જાન્યુઆરી બાદ કમુરતા પૂર્ણ થયા બાદ ફેરફારો થઇ શકે તેમ છે. રાષ્ટ્રીય કારોબારી આ વખતે દિલ્હીમાં યોજાવાની છે. 16 અને 17 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કારોબારી યોજાશે, જેમાં 2024ની લોકસભા ચૂંટણીને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ જે રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી છે તેના માટેનો એક્શન ટેકન રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.તેની સાથે જ વિધાનસભા માટે પણ કેટલાક મંત્રીઓને કેન્દ્રીય સંગઠનમાંથી જવાબદારીઓ સોંપવામાં આવશે.
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરુ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય કારોબારી બાદ કેન્દ્રીય સંગઠનમાં મહદ અંશે ફેરફાર થઇ શકે છે. રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફારની વાત હોય છે ત્યારે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના સ્થાને કોઇ નવા ચહેરાને સ્થાન મળી શકે છે. તે જ રીતે કેન્દ્ર સરકારની અંદર પણ ફેરફારોની વાત આવી રહી છે. તેમાં કેટલાક ગુજરાતના મંત્રીઓને ડ્રોપ કરવામાં આવી શકે છે. જ્યારે કેટલાક ચહેરાઓને સ્થાન મળી શકે છે. ત્યારે કારોબારીમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.