વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ભાજપ (BJP) માં જાણે ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગાંધીનગર (Gandhinagar) કમલમમાં આજે સુરેન્દ્રનગરના NSUI અને યુથ કૉંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. સુરેન્દ્રનગર NSUIના પ્રમુખ યુવરાજસિંહ ચુડાસમા તેમની ટીમ સાથે ભાજપમાં સામેલ થયા છે. સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા NSUIના મંત્રી, મહામંત્રી, ચોટીલા, મૂળી,સાયલા, ચુડા,લખતર, લીંબડી, ધાંગધ્રા NSUIના પ્રભારી તેમની ટીમ સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપના આગેવાનો અને નેતાઓએ કૉંગ્રેસના આગેવાનું ટોપી અને કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. બીજીતરફ બહુચરાજીના કટોસણના રાજવી પરિવારના યુવરાજ ધર્મપાલસિંહ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા બંને મુખ્ય આગેવાનોએ કહ્યું કે તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. તેમણે આક્ષેપ કર્યો કે કૉંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે, પરિવર્તન અને નેતૃત્વનો અભાવ છે.
બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ ધીમી ગતીએ ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. ભાજપના પગલે તેણે પણ રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહત્ત્વની ગણાતી વ્યક્તિઓને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. આજે ભાજપની યુવા પાંખ બીજેવાયએમના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ વિકાસ દુબે અને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વચ્ચે થઇ બેઠક થઈ હતી. આમ આદમી પાર્ટીમાં જોડાવવા મુદ્દે થઈ ચર્ચા થઈ હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે વિકાસ દુબે અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી સાથે થઈ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.