Bhavnagar: ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નવા બનતા રોડની નબળી કામગીરીને લઈ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. અક્ષરપાર્કમાં 40 ફૂટ રોડ પર સ્થાનિકોના એકઠા થયેલા ટોળાએ રોડની કામગીરી અટકાવી હતી. આ નવા બની રહેલા રોડનું થોડા દિવસો પહેલા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડની કામગીરી માટે 1.75 કરોડનું ટેન્ડર પાસ કરાયું છે.
મહુવામાં ગટરના પ્રશ્નોને લઇને મહિલાઓ આક્રમક
ભાવનગરના મહુવામાં ગટરના પ્રશ્નોને (poor drainage system) લઇને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. આ વાત છે જનતા પ્લોટ વિસ્તારની કે જ્યાં ડ્રેનેજનું પાણી લોકોના ઘરમાં ઘુસી જતા રહીશો હેરાન-પરેશાન થઇ ગયા છે. રસ્તા પર પણ ગટરના પાણી ફરી વળતા રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે છે. જ્યાં છેલ્લા એક મહિનાથી સ્થાનિકો આ સમસ્યા વેઠી રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા 50 મહિલાઓએ જનતા પ્લોટથી લઇ નગરપાલિકા સુધી રેલી યોજી હતી. અને નગરપાલિકાનો ઘેરાવ કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી હતી. મહિલાઓના ઉગ્ર દેખાવોને પગલે ભાવનગર પાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા હતા. તેમજ સફાઇકર્મીઓના અટકેલા પગારને લીધે કામગીરી ન થઇ રહી હોવાનું કારણ આપ્યું હતું.