રોડ પર પલટી કાર, લાગી આગ, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ મોતને આપી હતી માત

નવા વર્ષ નિમિત્તે ભારતનો સ્ટાર ખેલાડી પરિવારને મળવા માટે દિલ્હીથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. હાઈવે પર તેની કાર પલટી ગઈ અને કારમાં આગ લાગી. એક ટ્રક ડ્રાઈવરે તેને કારમાંથી બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો. આ ગમખ્વાર અકસ્માતને આજે એક વર્ષ થયું છતાં હજી તે મેદાનમાં વાપસી કરી શક્યો નથી.

રોડ પર પલટી કાર, લાગી આગ, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ મોતને આપી હતી માત
Rishabh Pant Car Accident
| Updated on: Dec 30, 2023 | 9:04 AM

ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ કેએલ રાહુલ વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. રાહુલને વિકેટકીપરની જવાબદારી આપવાની જરૂર કેમ પડી? આનો જવાબ આજની તારીખ એટલે કે 30મી ડિસેમ્બરમાં છુપાયેલો છે. ગયા વર્ષે 30 ડિસેમ્બરે કંઈક એવું બન્યું કે બાદમાં આ જવાબદારી રાહુલ પર આવી ગઈ.

રિષભ પંતનો કાર અકસ્માત

ગત વર્ષે 30 ડિસેમ્બરના રોજ ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો કાર અકસ્માત થયો હતો. જેમાં પંત અતિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અનેક સર્જરી અને લાંબી સારવાર બાદ હાલ તે મેદાનમાં રમવા માટે સક્ષમ બન્યો છે. જોકે આજે અકસ્માતના એક વર્ષ બાદ પણ તે હજી ક્રિકેટથી દૂર છે અને ટીમમાં વાપસી કરી શક્યો નથી.

મોતને હરાવવામાં સફળ રહ્યો

30મી ડિસેમ્બરની સવાર પંત માટે અવિસ્મરણીય રહી. આ દિવસે તેના જીવનમાં ઘણો બદલાવ આવ્યો અને કેટલાક સપના પણ તૂટી ગયા. એક વર્ષ વીતી ગયું પરંતુ પંત ​​હજુ પણ આ દુર્ઘટનામાંથી સંપૂર્ણ રીતે સાજો નથી થયો. તે હજુ પણ ઈજાગ્રસ્ત છે. પંત આ અકસ્માતમાં મોતને હરાવવામાં સફળ રહ્યો હતો અને હવે ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે.

તે દિવસે શું થયું?

વર્ષ 2022 વિદાય લઈ રહ્યું હતું અને 2023 દસ્તક આપવા તૈયાર હતું. પંત નવા વર્ષની ઉજવણી કરવા માટે દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. પરંતુ ત્યારબાદ દિલ્હી-દહેરાદૂન હાઈવે પર તેની કારનો અકસ્માત થયો હતો. પંત ખૂબ જ સ્પીડમાં હતો અને તેની કાર કાબૂ બહાર થઈ ગઈ હતી. તેની કાર હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈને પલટી અને કારમાં આગ લાગી. પંતનું કારમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું, પરંતુ કોઈક રીતે પંત આ કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

ટ્રક ચાલકે પંતની મદદ કરી

ત્યાં ઉભેલા લોકોએ આ અકસ્માત જોયો અને તેની મદદ કરી. ત્યાંથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો અને આ અકસ્માત જોઈને ટ્રક રોકી. રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રકનો ડ્રાઈવર સુશીલ પહેલા પંતને બચાવવા પહોંચ્યો હતો. પંતે તેને પોતાની ઓળખ જણાવી અને કહ્યું, ‘હું પંત છું.’ સુશીલે કારનો કાચ તોડી નાખ્યો અને પંતને બહાર નીકળવામાં મદદ કરી. આ અકસ્માતમાં પંતને કપાળ પર ઈજા થઈ હતી. પરંતુ તેના પગમાં સૌથી વધુ ઈજા થઈ હતી. તેને લિગામેન્ટમાં ઈજા થઈ હતી.

સર્જરી કરાવવી પડી

પંતને તુરંત હરિદ્વારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને દેહરાદૂન ખસેડવામાં આવ્યો હતો. પંતને કપાળ ઉપરાંત પીઠમાં પણ ઈજા થઈ હતી. તેમની સારવાર દેહરાદૂનમાં કરવામાં આવી હતી, પરંતુ સર્જરી માટે પંતને મુંબઈ જવું પડ્યું હતું જ્યાં ડૉ. દિનેશ પારડીવાલાએ કોકિલાબેન હોસ્પિટલમાં તેમની સારવાર કરી હતી.

એક વર્ષ બાદ કરી શકે છે કમબેક

સર્જરીની શરૂઆતમાં પંત માટે ચાલવું પણ મુશ્કેલ હતું. આ ઈજાને કારણે પંત લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. તે IPLમાં રમી શક્યો ન હતો અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ રમી શક્યો ન હતો. આ કારણોસર તે ODI વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. જોકે હવે પંતે ચાલવા અને દોડવાનું શરૂ કરી દીધું છે અને હવે જલ્દી તે મેદાનમાં વાપસી કરશે એવી શક્યતા છે.

આ પણ વાંચો : ક્રિકેટર MS ધોનીએ ફેન્સને કેમ આપી પાકિસ્તાન જવાની સલાહ? વીડિયો થયો વાયરલ, સાંભળો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો