કોંગ્રેસને રામ રામ કહીને છુટા પડેલા શંકરસિંહ વાઘેલા, ફરી કોંગ્રેસમાં જોડાવવા ઈચ્છુક

|

Feb 03, 2021 | 4:12 PM

અમિત શાહ, અહેમદ પટેલ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત જે સમયે રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા તે પૂર્વે જ શંકરસિંહ વાઘેલાએ (shankarshih vaghela) કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. જો કે હવે શંકરસિંહ વાઘેલા ભાજપની સામે લડવા માટે પાછા કોંગ્રેસમાં (congress)જવા તૈયાર છે.

ગુજરાતમાં અહેમદ પટેલ, અમિત શાહ, સ્મૃતિ ઈરાની, બળવંતસિહ રાજપૂત જે સમયે રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા તે વખતે કોંગ્રેસને રામરામ કરનારા શંકરસિંહ વાઘેલા (shankarshih vaghela)  ફરી કોંગ્રેસમાં (congress) જોડાઈ રહ્યાના સમાચાર વહેતા થયા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ, રાજકીય પ્રવાહોની વચ્ચે વહેતી થયેલી કોંગ્રેસમાં જોડાવવાની વાત બાબતે, હકાર ભણ્યો હતો. પરંતુ સાથોસાથ કહ્યુ પણ હતુ કે કોંગ્રેસ હાઈકમાન્ડ એવા રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી બોલાવશે તો દિલ્લી જઈને ગુજરાત અને દેશના શુધ્ધિકરણ માટે કોંગ્રેસમાં જોડાઈશ. ભાજપ સામે લડવા માટે જે કાઈ કરવું પડશે તે કરીશ.

વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા પણ રહી ચૂકેલા શંકરસિહે કહ્યુ કે મારુ પોલીટીક્સ રૂટીન નથી. અહેમદ પટેલના નિધન સમયે અનેક કાર્યકરોએ મને કોંગ્રેસમાં પરત ફરવા કહ્યું હતું. કાર્યકરોની લાગણી પણ છે કે, હુ કોંગ્રેસમાં જોડાઉ. પરંતુ તે સમય રાજકારણની ચર્ચા કરવાનો યોગ્ય સમય નહોતો. જો સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી મને ચર્ચા કરવા માટે દિલ્લી બોલાવશે તો દિલ્લીમાં જઈને ચર્ચા કરીશ. કોગ્રેસમાં પરત ફરવા અંગે ગુજરાતમાં કોઈ જ સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કે વાત થયાનો વાઘેલાએ ઈન્કાર કર્યો છે. પરંતુ જે રીતે શંકરસિંહ વાધેલાનો વિડીયો સામે આવ્યો છે. તેમાં તેઓ જે રીતે વાત કરી રહ્યાં છે તે જોતા સ્પષ્ટ કહી શકાય કે, શંકરસિંહ વાઘેલાને ભાજપની સામે લડવા માટે કોંગ્રેસ જેવા કોઈ મજબૂત રાજકીય પક્ષની ઓથ જોઈએ છે.

શંકરસિંહ વાઘેલાએ, તેમની રાજકિય કારકિર્દીની શરુઆત જનસંધ, ભાજપથી કરી હતી. વાઘેલાએ ભાજપના ભાગલા કર્યા હતા. ત્યાર બાદ શંકરસિંહે પોતાનો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો. સમય જતા તેઓ કોંગ્રેસમાં ભળ્યા હતા. રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારા અહેમદ પટેલને હરાવવાની રાજકીય ગણતરી સાથે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે કોંગ્રેસમાથી છુટા પડ્યા હતા. જો કે કોંગ્રેસમાંથી છુટા પડેલા ધારાસભ્યોમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા હતા. પરંતુ શંકરસિંહ વાઘેલા ભાજપને બદલે પોતાનુ નવુ દળ બનાવ્યુ હતુ અને આખરે એનસીપીમાં જોડાઈને છુટા પડ્યા હતા.

 

 

Next Video