ભાજપના (BJP) રાષ્ટ્રીયકક્ષાના પદાધિકારીઓની આજે દિલ્લીમાં બેઠક યોજાશે. આ બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) સંબોધન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં મોટાભાગે, આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરાશે. તો હાલમાં કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલન બાબતે પણ લોકોને યોગ્ય જાણકારી આપવા માટેની રણનીતિ ઘડાશે. આજની આ બેઠકમાં વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, પ્રદેશ ભાજપના પ્રભારી અને સહપ્રભારીઓ હાજર રહેશે. જો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજની બેઠકમાં હાજર નહી રહે.
ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયમાં સંગઠનના પદાધિકારીઓ ખાસ કરીને રાષ્ટ્રીય મહામંત્રીઓની બેઠક થઈ હતી. જેમાં જે તે મહામંત્રીને સોપાયેલા રાજ્યોમાં ભાજપની સ્થિતિની સમિક્ષા કરાઈ હતી. બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ અને પોડુચેરી રાજ્યોમાં આગામી દિવસોમા વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેમા ભાજપ તરફે જનાધાર વધે અને પક્ષની પ્રતિભા વધુ ઉજ્જવળ બને તેના માટે વિચારણા કરવામાં આવશે.