Gujarat Municipal Election 2021 :
બાબરી વિધ્વંસ બાદ 1995ની ચૂંટણીમાં સુરત મ્યુનિ.માં ભાજપ 99માંથી 98 બેઠક જીતી હતી. 1 બેઠકને અપક્ષને મળી હતી. 2000ની મ્યુનિ. ચૂંટણીમાં ભાજપ સામે અસંતોષ હોવા છતાં કોંગ્રેસ નિષ્ફળ રહી હતી. 23 ઉમેદવારોના તો ફોર્મ રદ થયા હતા.
કોંગ્રેસનો કેમ થયો રકાસ ?
સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ફરી ભાજપ 93 બેઠક જીતીને સત્તા મેળવી છે. પરંતુ આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિબળ કોંગ્રેસનો કરુણ રકાસ અને આમ આદમી પાર્ટીને મળેલી 27 બેઠકો છે. આ ચૂંટણીએ સુરતમાં કોંગ્રેસનું રીતસર નામ ધોઇ નાંખ્યું છે. અને કોંગ્રેસને 26 વર્ષ પાછળ ધકેલી દીધી હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે. અગાઉ સુરતમાં કોંગ્રેસની આટલી કારમી સ્થિતિ 1995ની મ્યુનિ. ચૂંટણીમાં થઈ હતી. જ્યારે બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટનાને પગલે કોંગ્રેસને 99માંથી એકપણ બેઠક મળી ન હતી. તે ચૂંટણીમાં ભાજપનો 98 બેઠક પર વિજય થયો હતો. અને, એક બેઠક પણ અપક્ષને મળી હતી.
બાબરી મસ્જિદ વિધ્વંસને પગલે 1995માં કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી નહીં
કોંગ્રેસની સુરતમાં રકાસની વાત કરીએ તો 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ થયો તેના 3 વર્ષ બાદ 1995માં શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના બધા ઉમેદવારો હારી ગયા હતા અને 50થી વધુ ઉમેદવારોની તો ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી. બસ તે વખતથી સુરતમાં કોંગ્રેસનો સત્તામાંથી વનવાસ શરૂ થઈ ગયો. અને, આજે 26 વર્ષે ફરી એવી પરિસ્થિતિ થઈ છે કે સુરતમાં કોંગ્રેસનું સાવ નામું જ નંખાઈ ગયું છે.
ઉપરાછાપરી 4 ચૂંટણીમાં તક મળી, પણ મહેનત રંગ ન લાવી
સુરતમાં કોંગ્રેસ કદી સાર્થક થયું નથી. 1995ની ચૂંટણીમાં કરુણ અંત થયો તે પછી વર્ષ 2000, 2005, 2010 અને છેલ્લે 2015ની 4 મ્યુનિ. ચૂંટણીમાં કોંગ્રેસને દેખાવ સુધારવાની તક મળી હતી. તેમાં પણ 2000ની ચૂંટણીમાં તો ભાજપ પ્રત્યે ખુબ જ નારાજગી હતી. આમ છતાં તે ચૂંટણીમાં ભાજપને 59, કોંગ્રેસને 25 તથા અપક્ષો-અન્યોને 15 સીટ મળી હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસના 23 ઉમેદવારના ફોર્મ રદ થવાનો મોટો વિવાદ થયો હતો.
મોદી મુખ્યમંત્રી બન્યા બાદ કોંગ્રેસનો સૂરજ આથમ્યો
નરેન્દ્ર મોદી રાજકરણમાં ગજબની આવડત ધરાવે છે. અને, મોદીએ 2005ની ચૂંટણીમાં સુરતમાં આ બાબત પૂરવાર કરી હતી. સુરતમાં ભાજપના કોર્પોરેટરો પ્રત્યે નારાજગીનો માહોલ હતો. ત્યારે મોદીએ 2005માં NO-રિપિટ થિયરી અપનાવી હતી. અને તેના કારણે સુરતમાં નવી નેતાગીરીનો ઉદય થયો. સુરતીલાલાઓને આ થિયરી એટલી પસંદ આવી કે ભાજપે ફરી 90 સીટ કબજે કરી હતી.
આ વખતે પાટીદારોનો આક્રોષ હાર્દિક પારખી ન શક્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂંક કરી હતી. ત્યારે સુરતમાં પાટીદારોમાં ભાજપ પ્રત્યેના રોષને મતોમાં ફેરવવાનો હાર્દિકનો વ્યૂહ સદંતર નિષ્ફળ રહ્યો છે. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીનું સુરતમાં કોઈ માનતું ન હોવાનું જણાય આવે છે. અને પાસના નેતાઓને ટિકિટ આપવાની આખી ફોર્મ્યુલાને હાર્દિકે ડિરેલ કરી દીધી. પરિણામ એ આવ્યું કે આમ આદમી પાર્ટીએ આ તકનો લાભ લઈને પાટીદારોને ટિકિટ આપી અને આમ આદમી પાર્ટીએ પોતાનું ઝાડું ફેરવી દીધું
Published On - 6:44 pm, Tue, 23 February 21