તો તે સિવાય, ખેડા, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં બંન્ને પક્ષો વચ્ચે જોરદાર ટક્કર થાય તેમ છે. ત્યારે શું આ બિનશહેરી બેઠકો પર ભાજપ આ વખતે નો-રિપિટ થિયરી લાવી નવા ઉમેદવારોને તક આપશે ખરી?
સૌથી પહેલા વાત એ બેઠકની જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા. આ બેઠક એટલે વડોદરા. જ્યાં હાલમાં ભાજપના રંજન ભટ્ટ સાંસદ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પેટાચૂંટણીમાં રંજન ભટ્ટનો વિજય થયો હતો.
જો કે વરિષ્ઠ નેતાઓ સાથે ચાલી રહેલા ગજગ્રાજના લીધે રંજન ભટ્ટનું પત્તુ કપાઈ શકે છે. અને તેમના બદલે પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અથવા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને તક મળી શકે છે. આ તરફ કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ અથવા સુરેશ પટેલ, નરેન્દ્ર રાવત અને અમી રાવતને મેદાને ઉતારી શકે.
વડોદરા બેઠક ભાજપ માટે સૌથી સુરક્ષિત ગણાય છે. એટલે આ બંને શહેરી બેઠકો જીતવી કોંગ્રેસ માટે સરળ નહીં રહે.
મધ્યગુજરાતની બેઠકોમાંથી હવે વાત કરીએ ખેડા બેઠકની. જ્યા હાલમાં ભાજપના દેવુસિંહ ચૌહાણ ખેડા લોકસભા બેઠકના સાંસદ છે. અને દેવુસિંહ ચૌહાણની કામગીરી અને લોકપ્રિયતાને જોતા તેમને ફરી તક મળી શકે છે. દેવુસિંહ ચૌહાણ એવા સાંસદ છે જેમણે 100 ટકા ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. દેવુસિંહની સામે ભાજપમાંથી આવેલા બિમલ શાહને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. એવું પણ મનાઈ રહ્યું છે કે તેઓ લોકસભાની ટિકિટ કન્ફર્મ કરાવીને જ કોંગ્રેસમાં જોડાયા હતા.
તો આણંદમાં પણ હાલના સાંસદ દિલીપ પટેલને ભાજપ ફરીવાર ટિકિટ આપે તેવી શક્યતા છે. તેઓ ચાર ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો તેમની સામે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે. જો કે એક ચર્ચા એવી પણ ચાલે છે કે જો કોંગ્રેસ-NCP સાથે ગઠબંધન ન થાય તો જયંત બોસ્કી પણ આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
વાત પંચમહાલની કરીએ તો સતત બે ટર્મથી પ્રભાતસિંહ ચૌહાણનો પંચમહાલમાં દબદબો છે. પંચમહાલમાં પ્રભાતસિંહને ટક્કર આપે તેવા નેતાનો ભાજપમાં અભાવ છે. એનો જ લાભ એ થાય કે પ્રભાતસિંહ ચૌહાણને ભાજપ રિપિટ કરે. છતાં એક શક્યતા છે કે પ્રભાતસિંહનું પત્તું કપાય તો તુષારસિંહ દાવેદાર બની શકે અને તેમની સાથે કોંગ્રેસ પરાન્જ્યદિત્યસિંહ પરમારને મેદાનમાં ઉતારી શકે છે. આ બેઠક પર NCPના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલા પણ ઉમેદવારી નોંધાવી શકે છે.
આ તરફ હાલમાં ભાજપના જશવંતસિંહ ભાભોર દાહોદના લોકસભાના સાંસદ છે. અને વડાપ્રધાન મોદીના વિશ્વાસુ ગણાતા જશવંતસિંહ રિપિટ થાય તેવી શક્યતા પ્રબળ છે. તેમની સામે કોંગ્રેસ પૂર્વ સાંસદ બાબુ કટારાને મેદાનમાં ઉતારી શકે છે. વિધાનસભામાં પુત્રને ટિકિટ નહીં મળતા બાબુ કટારા કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે બાબુ કટારાના પુત્ર ભાવેશ કટારાને લોકસભાની ટિકિટ મળી શકે છે. તો એક નામ સોનિયા ગાંધીના નજીકના ગણાતા ડૉ. પ્રભા તાવિયાડનું પણ ચર્ચાઈ રહ્યું છે.
વાત કરીએ છોટા ઉદેપુર બેઠકની. હાલના સાંસદ રામસિંહ રાઠવાની ટિકિટ લગભગ નક્કી ગણાય છે. જો કે રાઠવા જાતિના પ્રમાણપત્ર વિવાદને લઈને રામસિંહ સામે આદિવાસી સમાજમાં વિરોધ છે. ત્યારે નવા ચહેરા તરીકે ભાજપ જશુ રાઠવાને તક આપી શકે છે. આ તરફ કોંગ્રેસ વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત રાઠવા અથવા સંખેડાના પૂર્વ ધારાસભ્ય ધીરુ ભીલને પણ મેદાનમાં ઉતારી શકે છે. હવે સવાલ એ છે કે ભાજપ નવા ચહેરા સાથે રિસ્ક લેશે કે પછી કોંગ્રેસ જૂના જોગીઓ પર ફરી વિશ્વાસ મૂકશે?
[yop_poll id=1266]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]