
નવરાત્રીના નવ દિવસ સતત ગરબે ઘુમ્યા પછી ખેલૈયા અને શહેરીજનો ફાફડા જલેબી અને ચોળાફળીની જયાફત માણી રહ્યા છે. દશેરાના દિવસે સવારથી જ શહેરીજનો ફાફડા જલેબી ખરીદવા માટે લાઈનમાં ઊભા રહે છે. નવમીની રાત્રીએથી દશેરાના દિવસની વહેલી સવાર સુધી ગરબા રમીને આવતા ખેલૈયાઓ પણ વહેલી સવારે ફાફડા જલેબીની લિજ્જત માણે છે.

છેલ્લા પાંચ દાયકાથી ફરસાણનો બિઝનેસ અને ફાફડા જલેબીનું વેચાણ કરતા રાજેશભાઈ મહેતા જણાવે છે કે, ફાફડા જલેબી માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીનો ભાવ વધ્યો છે. બીજી બાજુ ફાફડા જલેબી બનાવતા કારીગરોની મજૂરીમાં પણ વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને 10% જેટલો ભાવ વધારો થયો છે.

ફાફડા રૂપિયા 700 થી લઈને 900 રૂપિયાના ભાવે વેચાય છે. ચોખ્ખા ઘી માંથી કે અમૂલના ઘી માંથી બનતી જલેબી 850 રૂપિયાથી લઈને રુપિયા 1200 સુધીમાં ખરીદી લોકો સ્વાદ માણે છે.

દશેરાના દિવસે અમદાવાદવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે. ગયા વર્ષે શહેરીજનોએ આશરે 150 કરોડની કિંમતના ફાફડા જલેબીનો આસ્વાદ માણ્યો હતો. આ વર્ષે પણ ગયા વર્ષ કરતા વધારે ફાફડા જલેબી વેચાવવાની સંભાવના છે.

ફાફડા જલેબીની સાથે શહેરના લોકો ચોળાફળી ઉપર પણ પ્રેમ વરસાવી રહ્યા છે. ચોળાફળીના ભાવમાં પણ આશરે 5 થી 10% નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 1 કિલો ચોળાફળી 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીમાં મળે છે.

ગરમ-ગરમ ફાફડા અને ઘી નીતરતી જલેબી, પપૈયાની છીણ અને લીલા મરચા સાથે ખાવાની કંઈક અનેરી જ મજા હોય છે. અમદાવાદમાં આજે 8 થી 9 લાખ કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થઈ શકે છે.
Published On - 3:22 pm, Tue, 24 October 23