
પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પંથકને સૌ પ્રથમ 'વંદે ભારત' ટ્રેન મળી છે, જેના થકી જામનગર-અમદાવાદની ટ્રેનમાં મુસાફરો સગવડ સાથે આરામદાયક મુસાફરી કરી શકશે. રાજકોટ, જામનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સ્ટેશન ખાતે સ્ટોપ કરનારી 'વંદે ભારત' ટ્રેનથી વેપાર-ધંધાને ફાયદો થશે. લોકોની લાગણી અને માંગણીને માન આપીને આ ટ્રેનનો રૂટ દેવભૂમિ દ્વારકા સુધી લંબાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

આસિસ્ટન્ટ ડિવિઝન રેલવે મેનેજર જી. પી. સૈનીએ સૌરાષ્ટ્રને પહેલી 'વંદે ભારત' ટ્રેન પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાના ઉદ્દેશથી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે દેશમાં જ આ ટ્રેનનું નિર્માણ કરાયું છે.

આનંદદાયક મુસાફરી માટે આ ટ્રેનની ચેર 360 ડિગ્રીએ ફરી શકે છે. આ ટ્રેન જામનગરથી બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ તેમજ અમદાવાદથી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. ત્યારે રેલવે ગ્રાહકો માટે આ ટ્રેન ઉપયોગી બનશે, તેવી આશા છે.

જંકશન રેલવે સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ તેમજ 'વંદે ભારત' ટ્રેનની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. મહાનુભવોને ઔષધીય રોપાં અને પુષ્પગુચ્છ આપીને આવકારાયા હતાં. તેમજ કાર્યક્રમમાં કલાકારોએ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતાં.

આ તકે મોહન કુંડારીયા, રામ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય ઉદય કાનગડએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ 'વંદે ભારત' ટ્રેનમાં જનતા સાથે મુસાફરીનો લ્હાવો લીધો હતો.