
જો તમારી પાસે OnePlus સ્માર્ટફોન છે અથવા તે ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. થોડા સમય પહેલા વનપ્લસના કેટલાક સિરીઝના સ્માર્ટફોનના ડિસ્પ્લેમાં ગ્રીન લાઇનની સમસ્યા જોવા મળી હતી. ઘણા યુઝર્સે આ અંગે કંપનીને ફરિયાદ પણ કરી હતી. હવે આ પ્રકારની સમસ્યાઓથી ગ્રાહકોને રાહત આપવા માટે કંપનીએ એક નવી ઓફર રજૂ કરી છે.

ડિસ્પ્લેમાં ગ્રીન લાઇનની સમસ્યામાંથી ગ્રાહકોને રાહત આપવા માટે, કંપનીએ 'OnePlus Green Line Worry-free Solution' નામનું નવું સોલ્યુશન લોન્ચ કર્યું છે. આમાં વનપ્લસ તેના ગ્રાહકોને આજીવન વોરંટી આપી રહ્યું છે. એટલે કે હવે OnePlus તમને ડિસ્પ્લેની Lifetime વોરંટી આપશે.

વનપ્લસ ઇન્ડિયાના CEO રોબિન લિયુએ કહ્યું કે વનપ્લસ પહેલી કંપની છે જેણે તેના ગ્રાહકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આટલું મોટું પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ગ્રાહકોમાં વધી રહેલી ડિસ્પ્લેની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ફીચર રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમે અમારી AMOLED ટેક્નોલોજીમાં ઝડપથી ફેરફાર કરી રહ્યા છીએ. રોબિને કહ્યું કે કંપની દ્વારા આવી સેવા પૂરી પાડવી એ ગ્રાહકો પ્રત્યેના અમારું વલણ દર્શાવે છે.

તમને જણાવી દઈએ કે OnePlus એ તેના 'OnePlus Green Line Worry-free Solution'માં મુખ્યત્વે ત્રણ કેટેગરી રાખી છે. કંપનીએ કહ્યું કે યુઝર્સને ભવિષ્યમાં સ્માર્ટફોનમાં આવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં, પરંતુ ગ્રાહકો તેમના સ્માર્ટફોન સાથે સંપૂર્ણપણે ટેન્શન ફ્રી રહે તેની ખાતરી કરવા માટે, OnePlus તેમને આજીવન ડિસ્પ્લે વોરંટી પ્રદાન કરી રહ્યું છે.

OnePlus Green Line Worry-Free Solutionની સૌથી મહત્વની બાબત એ છે કે તે તમામ સ્માર્ટફોન પર લાગુ થશે. મતલબ કે, જો તમારી પાસે પહેલેથી જ સ્માર્ટફોન છે, તો આ તેના ડિસ્પ્લે પર પણ લાગુ થશે અને જો તમે નવો સ્માર્ટફોન ખરીદો છો, તો તેમાં પણ તમને આજીવન ફ્રી ડિસ્પ્લે વોરંટી આપવામાં આવશે.
Published On - 9:55 am, Sun, 8 December 24