
અખાત્રીજના શુભ દિવસે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીના રથની પૂજા કરવામાં આવી છે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કરી હતી.

આરતી બાદ મંત્રોચ્ચાર સાથેત્રણ રથની પૂજા કરવામાં આવી હતી. આ વખતે કોરોના કેસ ઓછા થતા બે વર્ષ બાદ 1 જૂલાઈએ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળશે.

આગામી 12 જૂને 108 કળશ સાથે જળયાત્રા નીકળશે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા રથનું સમારકામ કરવામાં આવતું હોય છે. તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસેથી જ કરવામાં આવે છે.

144 વર્ષ જૂના રથની આજે છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણ કે આગામી 146મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવા માટે 5થી 7 મહિનાનો સમય લાગશે.

નવા રથમાં બનાવવામાં એ બાબતનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે કે ભક્તો ગમે ત્યાં ઉભા હોય તો પણ રથમાં રહેલા ભગવાનના દર્શન ભક્તો સહેલાઈથી કરી શકશે. જોકે રથની ઊંચાઈ રથયાત્રાના રૂટને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. રથમાં સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. વધુ સુંદર અને ભવ્ય રથ બનાવવા માટે લાકડું પણ આવી ગયું છે.

આ વર્ષે અમદાવાદ શહેરની શોભા સમાન જગન્નાથ રથયાત્રાના દરેક કાર્યક્રમ વિધીવત રીતે પૂર્ણ કરવામાં આવશે. તેમજ ભક્તજનોને પણ પ્રભુના દર્શનનો લહાવો મળી શકે તેવું આયોજન કરાયું છે. (Photos By Hiren Khalas, Editted By Omprakash Sharma)