
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ વિશે સંપૂર્ણ વિગતો આપી હતી.

તમને જણાવી દઈએ કે આ રામ મંદિર 70 એકર જમીન પર બની રહ્યું છે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને પહેલા માળનું કામ હજુ ચાલુ છે.

ચંપત રાયે જણાવ્યું હતું કે મંદિરમાં પાંચ પ્રકારના મંડપ હશે જેમાં નૃત્ય, થિયેટર, પ્રાર્થના અને કીર્તન થશે. તો તમારે રામલલાના દર્શન કરવા માટે કુલ 32 સીડીઓ ચડવી પડશે.

અયોધ્યામાં બની રહેલા આ ભવ્ય રામ મંદિરમાં કુલ 36 દરવાજા હશે. આ દરવાજાઓમાંથી 18 દરવાજા ગર્ભગૃહના હશે. રામ મંદિર માટે લગાવવામાં આવતા તમામ દરવાજા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે.

આ તમામ દરવાજા સોનાથી જડેલા હશે. એક દરવાજામાં કુલ 3 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. આ દરવાજા હૈદરાબાદના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. દરવાજા પર ખાસ કોતરણી પણ કરવામાં આવી છે.