
શ્વેતક્રાંતિનું બીજુ નામ એટલે બનાસકાંઠા. જ્યાં દૂધની રેલમછેલ થાય છે તેવા બનાસકાંઠામાં PM મોદીએ આજે વિકાસના એક નવા જ અધ્યાયની શરૂઆત કરાવી. અને બનાસ ડેરીના નવા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરીને મોટી ભેટ ધરી.

આ પ્રસંગે PM મોદીએ બનાસકાંઠાની માતા-બહેનોને નતમસ્કત વંદન કર્યું. અને બનાસ ડેરીને જિલ્લાની માતા-બહેનોની તપસ્યાનું પરિણામ ગણાવ્યું. સાથે જ પશુઓ પ્રત્યેની મહિલાઓની લાગણીનેની પ્રશંસા કરી.

બનાસની માતા બહેનોને નમન.પશુપાલનનું કામ ઘરમાં સંતાનને સાચવે તેનાથી વધુ લાગણીથી પશુને સાચવે છે.પશુને ચારો ન મળ્યો હોય તો માતા-બહેનો પાણી પીતા અચકાતી હોય છે. બહાર જવાનું હોય તો સગા વ્લાહામાં લગન છોડી દે પણ પશુને એકલા ન છોડે.આ ત્યાગ અને તપસ્યા છે, એટલા માટે માતા-બેહનોની તપસ્યાનું પરિણામ બનાસ ડેરીનો વિકાસ થયો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, દેશમાં કો-ઓપરેટિવ મુવમેન્ટથી આત્મનિર્ભરતાના અભિયાનને બળ મળી રહ્યું છે. દેશમાં વર્ષે સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. આ મૂલ્ય ઘઉં અને ચોખાની ઉત્પાદન કિંમત કરતાં પણ વધુ છે. તેમણે કહ્યું કે ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને મળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીના(Banas Dairy) વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, “હું તમારો અનન્ય સાથી છું અને તમારી પડખે રહી કામ કરવા માગું છું.

વડાપ્રધાને બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસની પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી, વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી.આ તકે વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું કે, બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ સોમનાથની ધરતી ગુજરાતથી જગન્નાથની ધરતી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સહકારી ક્ષેત્રની બનાસ ડેરીએ ઓછા વરસાદવાળા જિલ્લા બનાસકાંઠામાં કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદનથી લોકોની તકદીર બદલવાનું સફળ મોડેલ પૂરું પાડ્યું છે.

વડાપ્રધાને જણાવ્યું કે, લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશાધનોનો પણ ઉપયોગ થઇ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યુ છે. બનાસકાંઠાના ખેડૂતોએ મધ ઉછેર વ્યવસાય અપનાવી સ્વીટ રિવોલ્યુશનમાં સહભાગીતા કરી છે તેનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ કહ્યું કે, મગફળી અને સરસવમાંથી ખાદ્યતેલ બનાવવાના પ્લાન્ટથી અહિના ખેડૂતો ખાદ્યતેલ ક્ષેત્રે આત્મનિર્ભરતા જોડી છે.