TV9 GUJARATI | Edited By: Bhavyata Gadkari
Jan 08, 2022 | 9:32 PM
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે સવારથી જ ફ્લાઈટ ઑપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટના રનવે અને પાર્કિંગ વિસ્તારમાં સતત બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી ઓપરેટ થતા તમામ 40 વિમાનો રદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને 600 મીટરથી ઓછી થઈ ગઈ છે.
સતત હિમવર્ષાના કારણે હવાઈ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે. કાશ્મીર ખીણ અને જમ્મુના મોટાભાગના પર્વતીય વિસ્તારોમાં શુક્રવારથી બરફ પડી રહ્યો છે, જ્યારે જમ્મુમાં વરસાદ ચાલુ છે. શ્રીનગરના હવામાન કેન્દ્રે રેડ વોર્નિંગ જાહેર કરી છે અને લોકોને પહાડી વિસ્તારોમાં ન જવા જણાવ્યું છે.
9 જાન્યુઆરીથી કાશ્મીરના હવામાનમાં સુધારો થવાની સંભાવના છે. દરમિયાન, શ્રીનગર-જમ્મુ અને શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રાફિક પણ ઠપ થઈ ગયો છે. રેલવે ટ્રેક પર બરફ જમા થવાને કારણે ઉત્તર રેલવેએ બારામુલ્લા-બનિહાલ ટ્રેન સેવા સ્થગિત કરી દીધી છે.
પ્રશાસને કાશ્મીરના બરફથી ઢંકાયેલા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. અધિકારીએ કહ્યું કે ખીણના પહાડી જિલ્લાઓ અને ચિનાબ ક્ષેત્રમાં રહેતા લોકોને બિનજરૂરી જોખમ ન લેવાની સલાહ આપવામાં આવી છે.
શુક્રવારે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.5 ડિગ્રી સેલ્સિયસ અને પહેલગામમાં માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી 'ચિલ્લઇ કલાં'નો 40 દિવસનો સમયગાળો શરૂ થયો હતો. આ સમયગાળા દરમિયાન, પ્રદેશમાં તીવ્ર ઠંડીનો અનુભવ થાય છે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાય છે, જેના કારણે અહીંનું પ્રખ્યાત દાલ સરોવર તેમજ ખીણના ઘણા ભાગોમાં પાણી પુરવઠાની લાઈનો સહિતના જળાશયો સ્થિર થઈ જાય છે.